ડભોઇ, તા.૨૮ મે:
ડભોઇ તાલુકાના થરવાસા ચોકડી પાસેથી પસાર થતી નર્મદાની મેઈન કેનાલ હાલમાં ગંભીર અવસ્થામાં છે. પોપડા અને તૂટી ગયેલા દીવાલના કારણે કેનાલમાં ઊંડા ખાડાઓ સર્જાયા છે, જેના કારણે ચોમાસા પૂર્વે રીપેરિંગનું કામ તાત્કાલિક શરૂ થાય તેવી ખેડૂતો અને વાહનચાલકોની ભાવુક માંગ ઊઠી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, નર્મદા કેનાલનું રીપેરિંગ કરવા માટે સરકારે કરોડો રૂપિયાની ફાળવણી કરી હોવા છતાં, જમીન પર તેનું અમલ થતો દેખાતો નથી. થરવાસા ચોકડી નજીક આવેલી કેનાલની દીવાલ તૂટી જવાથી મકમલ ખાડો ઊંડો થતો જાય છે, જેને કારણે સ્થાનિક માર્ગ પરથી પસાર થનારા વાહનચાલકોને જીવના જોખમનો સામનો કરવો પડી રહ્યો છે.
ચિંતાજનક બાબત એ છે કે, નર્મદા નિગમની ઓફિસ આ જગ્યાની નજીક હોવા છતાં હજુ સુધી કોઈ મરામત કાર્ય શરૂ થયું નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો અહીં કોઈ ગંભીર અકસ્માત થાય, તો તેની જવાબદારી કોણ લેશે?
આ મુખ્ય માર્ગ ડભોઇથી કરજણ તથા આજુબાજુના ગામો માટે મહત્વનો માર્ગ છે, જ્યાં રોજના હજારો વાહનો પસાર થાય છે. ખેડૂતો અને સ્થાનિક યુવાનોનું સ્પષ્ટ કહેવું છે કે તાત્કાલિક રીપેરિંગ ન થાય તો વરસાદી પાણીના ધકકા વધુ નુકસાન કરી શકે છે અને લોકોના જીવ પર સીધું જોખમ ઊભું થાય.
હૂંકાર ભરતી માંગ:
વિસ્તારના યુવાનો, ખાસ કરીને ખેડૂતોના પુત્રો દ્વારા નર્મદા નિગમના અધિકારીઓ સામે તાત્કાલિક કામગીરી કરવાની માંગ સાથે ચેતવણી અપાઈ છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો સ્થાનિક સ્તરે આંદોલન કરવામાં આવશે.
અહેવાલ : વિવેક જોષી, ડભોઇ