ડભોઇ, તા. 26 મે
ડભોઇ-શિનોર ચોકડી નજીકથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલની ઉપર બનેલી નાળનો એક પેરાફિટ તૂટી પડતાં વાહનચાલકોમાં અકસ્માતની ભીતિ વ્યાપી ગઈ છે. આ માર્ગ રાજપીપલા, પોઇચા, ચાણોદ અને કરનાળી જેવા વિસ્તારોને ડભોઇ સાથે જોડે છે, જ્યાંથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે.
વાહનચાલકો તરફથી તાકીદે મરામત કરવાની માંગ ઉઠી છે, કારણ કે તૂટેલો ભાગ છેલ્લા કેટલાક દિવસોથી આવી જ સ્થિતિમાં છે. સ્થાનિક લોકોને કહેવું છે કે કોઈ પણ ચિહ્ન કે રિફ્લેક્ટિવ રેડિયમ ન લગાવવામાં આવતા, રાત્રિના સમયે દેખાતું નથી અને ગંભીર દુર્ઘટનાની શક્યતા વધી રહી છે.
હાલમાં તૂટેલા પેરાફિટ ભાગ પર કોઈ પણ પ્રકારની સુરક્ષા ચેતવણી ન હોય વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યાં છે. તેથી સ્થાનિક તંત્ર અને નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા તાત્કાલિક મરામત કરવાની જરૂરીયાત ઉભી થઈ છે.
વાહનચાલકો અને સ્થાનિકોની માંગ છે કે દૂર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર દ્રઢ પગલાં લઈ, મરામત તેમજ ચેતવણીના બોર્ડ કે રેડિયમ લગાવી રાત્રિના સમયમાં સુરક્ષા સુનિશ્ચિત કરે.
અહેવાલ: વિવેક જોશી – ડભોઇ