તળાજાના લાકડિયા ગામના મંદિરમાંથી થયેલી ચાંદીની છત્તર ચોરીનો ભેદ ઉકેલાયો : બે આરોપી ઝડપાયા, ૧૧,૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે

ભાવનગર,
તળાજા તાલુકાના લાકડિયા ગામે મેલડી માંના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચે બે શખ્સોની ધરપકડ કરીને કુલ ₹૧૧,૬૦૦ મૂલ્યના ચાંદીના ૧૩ છત્તરનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર. વાળાની આગેવાનીમાં હાથ ધરવામાં આવી હતી.

તારીખ ૩ જૂન, ૨૦૨૫ના રોજ એલ.સી.બી. સ્ટાફને બાતમી મળી હતી કે ભાવનગર શહેરના જવાહર મેદાન પાસે બે શખ્સો ચાંદીના દાગીનાઓ સાથે શંકાસ્પદ સ્થિતિમાં બેઠા છે. તાત્કાલિક તપાસ દરમિયાન મળેલા છત્તર અંગે સંતોષકારક જવાબ ન આપતા, તેઓની પુછપરછ દરમિયાન ખુલ્યું કે તેઓએ તળાજાના લાકડિયા ગામના મંદિરમાંથી ચોરી કર્યા હતા.

ઝડપાયેલા આરોપીઓનાં નામ:

  1. હરેશ ઉર્ફે બોખો રમેશભાઇ વાઘેલા (ઉ.વ.૨૦) – રહે. કઠવા, તળાજા
  2. કાળુભાઇ લખુભાઇ જીલિયા (ઉ.વ.૫૯) – રહે. લાઠીદડ, બોટાદ (હાલ તળાજા)

સાથે સાથે આ ગુનામાં બે આરોપી – સુરેશ વાઘેલા અને ગોવિંદ પરમાર – પકડવાના બાકી છે.

કબ્જે કરાયેલ મુદ્દામાલ:
ચાંદીના અલગ અલગ વજનના ૧૩ છત્તર – કુલ મૂલ્ય ₹૧૧,૬૦૦

કાયદેસર કાર્યવાહી:
આરોપીઓ સામે તળાજા પોલીસ મથકમાં ફ.ગુ.ર. નં. 0236/2025 મુજબ ભારતીય દંડ સંહિતા-2023 ની કલમ 305(ડી), 331(4) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આરોપીઓનો ભૂતકાળ:
દરોડા અને મંદિરમાં ચોરી જેવા અનેક ગુનાઓમાં ફસાયેલા આરોપી કાળુભાઈ જીલીયા સામે 12થી વધુ ગુના વિવિધ જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે. જ્યારે આરોપી હરેશ વાઘેલા વિરુદ્ધ પણ અગાઉના ગુના દાખલ છે.

અત્યારસુધીની કામગીરીમાં સહભાગી સ્ટાફ:
પો.ઇ. એ.આર. વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના સ્ટાફ ઘનશ્યામ ગોહિલ, વિઠ્ઠલ બારૈયા, સાગર જોગદિયા, મહેન્દ્ર ચૌહાણ, અરવિંદ બારૈયા, અશોક ડાભી, સંજય ચુડાસમા, અનિલ સોલંકી, જયદીપસિંહ ગોહિલ અને પ્રજ્ઞેશ પંડ્યાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

અહેવાલ: સતાર મેતર, ભાવનગર