દાંતાના ત્રિશૂળીયા ઘાટ પર શ્રદ્ધાળુઓની લઝગરી બસ પલ્ટી, ચારના મોત, ૫૦થી વધુ ઘાયલ, ચાલક સામે બેદરકારીના આરોપ.

બનાસકાંઠા

દાંતાના ત્રિશૂળીયા ઘાટ પર શ્રદ્ધાળુઓ ભરેલી બસ પલ્ટી મારી જતા એક બાળક સહિત ચાર લોકોના મોત થયા છે અકસ્માતમાં 52થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માત એટલો ગંભીર હતો કે લક્ઝરી બસના ફુરચે ફુરચા બોલી ગયા છે અકસ્માત થતા જ ત્રિશૂળિયો ઘાટ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માત લક્ઝરી બસના ચાલકની બેદરકારીના કારણે થયો હોવાનું આક્ષેપ ખુદ શ્રદ્ધાળુઓ લગાવી રહ્યા છે તેમનું કહ્યું છે કે રિલ્સ બનાવવાના ચક્કરમાં ચાર બમ્પ કુદાવી દેતા લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી. લક્ઝરી બસમાં 50થી વધુ લોકો સવાર થવાની પણ માહિતી મળી રહી છે.

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કઠલાલ ગામના શ્રદ્ધાળુઓ ગઈકાલે અંબાજી માતાના દર્શને આવ્યા હતા જેઓ આજે દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે દાતાના ત્રિશુલિયા ઘાટ નજીક અકસ્માત નડ્યો હતો. જોકે અકસ્માતની માહિતી મળતા અંબાજી પોલીસ સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાલનપુર અંબાજી અને દાંતા ત્રણેય તાલુકાની તમામ એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ દાતા સિવિલ હોસ્પિટલ ત્યારબાદ 52 જેટલા ઇજાગ્રસ્તોને દાતા સિવિલ બાદ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને ખસેડવામાં આવતા પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, કલેકટર મિહિર પટેલ જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને દર્દીઓની સાર સંભાળ લીધી હતી તેમજ તેમની ચાલી રહેલી સારવારનું પણ નિરીક્ષણ કર્યું હતું. પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચેલા કલેકટર અને જિલ્લા પોલીસ વડાએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું તેમણે કહ્યું કે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં હાલમાં તમામ દર્દીઓની સારવાર સરસ રીતે ચાલી રહી છે જોકે આ અકસ્માત કઈ રીતે સર્જાયો તે બાબત અંગે તપાસ કરવામાં આવશે અને જે કોઈ જવાબદાર હશે તેમના સામે યોગ્ય કાર્યવાહી કરાશે તેવી વાત કલેકટર અને જિલ્લા પોલીસવડાએ કરી છે

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને લાવવામાં આવતા સિવિલ હોસ્પિટલનો ડોક્ટર સ્ટાફ ખડે પગે રહીને તમામ દર્દીઓને જરૂરી સારવાર આપી રહ્યો છે આ અંગે બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે જે ઘટના બની છે તે ઘટના અંગે જાણ થતા જ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં તમામ વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે સાથે જ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની સૂચના બાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની યોગ્ય સારવાર હાલ ચાલી રહી છે 52 જેટલા દર્દીઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનુ તેમને જણાવ્યું હતું.

મહત્વનું એ છે કે જો બસમાં સવાર શ્રદ્ધાળુઓ બસચાલક સામે બેદરકારીના આક્ષેપ કરતા હોય તો તે તપાસનો વિષય છે કારણકે જો રીલ્સ બનાવવાના ચક્કરમાં અકસ્માતની ઘટના બની હોય તો તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કારણ કે રિલ્સ બનાવી ફેમસ થવાના શોખમાં 50 લોકોના જીવ જોખમમાં મૂકી ચાર લોકોના ભોગ લેનાર બસ ચાલક સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી છે.

અહેવાલ :- અયુબ પરમાર (બનાસકાંઠા)