દેવભૂમિ દ્વારકાથી એક ચોંકાવનારી કબૂલાત સામે આવી છે જ્યાં માછીમારી બોટના ખોટા રજિસ્ટ્રેશન અને બોગસ બિલો બનાવવામાં આવેલા કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. દ્વારકા એસ.ઓ.જી.ની ટીમે ઓખા વિસ્તારમાં “રેહમત નફશીંગ કન્સલટીંગ” અને “‘રામદૂત ઝેરોક્ષ” જેવી ઓફિસો ચલાવતા બે મુખ્ય એજન્ટોને ઝડપી પાડ્યા છે – શાફીન સબ્બરભાઈ ભટ્ટી અને સુનનલ મનસુખભાઈ નનમાવત.
આ બંનેએ જુના બોટ માલિકો સાથે મળીને જુની માછીમારી બોટ ખરીદી અને એ માટે બિલ વગર કે ખોટા બિલ બનાવી, ખોટા સોગંદનામા ઉભા કર્યા હતા. ત્યારબાદ ગેરકાયદેસર રીતે નવાં કોલ અને લાયસન્સ મેળવી લેવામાં આવ્યા હતા. આમ, ખોટા દસ્તાવેજો અને જાહેર ખોટી માહિતીના આધારે લગભગ ₹3 કરોડનું કૌભાંડ આચરાયું છે.
હાલ આ સમગ્ર મામલે 93 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને 2 એજન્ટ સહિત 9 માછીમારો મળી કુલ 11 લોકોની અટકાયત કરવામાં આવી છે. સમગ્ર ઘટના ઓખા મરીન પોલીસ મથકે નોંધાઈ છે અને વધુ તપાસ સતત ચાલી રહી છે. એસ.પી. નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.
આ કેસ માત્ર માછીમારી ક્ષેત્રમાં જ નહીં પણ વહીવટી તંત્ર અને ડોક્યુમેન્ટ પ્રોસેસમાં પણ ભ્રષ્ટાચારના ખૂણાંઓ ખોલી રહ્યો છે.
અહેવાલ :- જગદીશ યાદવ (દ્વારકા )