દ્વારકા નગરપાલિકા વિરુદ્ધ લારીવાળા અને માલધારીઓનો ત્રીજા દિવસે પણ અનોખો આંદોલન યથાવત

દ્વારકા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી નગરપાલિકાની નીતિ વિરુદ્ધ લારીગલ્લા, રેંકડીધારકો અને માલધારીઓનો વિરોધ જોર પકડી રહ્યો છે. આંદોલનકારીઓએ આરોપ મૂક્યો છે કે નગરપાલિકા દ્વારા ભ્રષ્ટ અને ભેદભાવભરી નીતિ હેઠળ ફક્ત ગરીબોની રેંકડી, પાથરણા અને છાસ/દહીં જેવા નાના ધંધાઓ પર દબાણ કરવામાં આવે છે, જ્યારે શહેરભરના ગેરકાયદેસર બાંધકામો, હોટલોના જનરેટરો, પાર્કિંગ અડચણો અને સત્તાધીશોને મળતાવળ ધરાવતા દલાલોને કશું નથી કહાતું.

આંદોલનના પ્રથમ દિવસે તંત્ર સામે પ્રતિકાર તરીકે શાંતિપૂર્ણ ધરણાં યોજાયા. બીજા દિવસે સત્તાધીશોને “સદબુદ્ધિ” મળે તે માટે હવન યોજાયો હતો. અને આજે ત્રીજા દિવસે ‘ભ્રષ્ટ નેતાઓ હપ્તા ખાય, એના કરતા તો ગરીબ ખાય’ એ આશય સાથે મફત નાસ્તો, બદામ અને પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વિચાર કરવો એ છે કે, નગરપાલિકા દ્વારા જે રેંકડીધારકોને રકમની નક્કી કરેલી પહોચ ફાળવવામાં આવે છે, તેઓ રોજે રોજ 20-30 રૂપિયા ભરીને ધંધો કરતા હોવા છતાં તેમને સતત હેરાન કરવામાં આવે છે. આ મુદ્દે આંદોલનકારીઓએ પોકાર ઉઠાવી છે કે – “અમારું ચાર ફૂટનું પાથરણું તંત્રને દેખાય છે, પણ 14 ફૂટના ગેરકાયદેસર શોરૂમ કે હોટલના બાંધકામ કેમ નહીં?”

દ્વારકાની નગરપાલિકા દ્વારા માર્ગ પર ટ્રાફિકમાં અડચણના બહાને લારીઓ હટાવવામાં આવે છે, પણ એ જ નગરપાલિકા શહેરના મુખ્ય માર્ગો પર પાર્ક કરાયેલા મોટા જનરેટરો કે હોટલોના અનિયમિત બાંધકામ સામે આંખ મીંચી લે છે. ગરીબો માટે રોજગારના સાધનો હટાવવામાં આવતા લોકોમાં ભય અને ગુસ્સો છે.

આંદોલન દરમિયાન વહીવટી તંત્રનો કોઈ પ્રતિનિધિ હજુ સુધી ગાંધીચિંધિયાવાળી આ માંગણીઓ સાંભળવા ન આવ્યો હોવાની માહિતી પણ સામે આવી છે. આવી સ્થિતિમાં લારીગલ્લાવાળાઓ અને માલધારીઓએ તંત્ર સામે પ્રશ્ન ઉઠાવ્યા છે કે – શું શહેરમાં નિયમો ફક્ત ગરીબો માટે જ છે?

અહેવાલ: જગદીશ યાદવ, (જૂનાગઢ)