ધરમપુરના ખાંડા ગામમાં વિદ્યાર્થીઓના તંદુરસ્ત ભવિષ્ય માટે આયુર્વેદિક “અમૃતપેય” અને સુવર્ણપ્રાશનનું આયોજન.

ધરમપુર તાલુકાના ખાંડા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના આરોગ્ય ને પ્રાધાન્ય આપતા એક વિશેષ આયુર્વેદિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. રાજ્ય આરોગ્ય વિભાગ અને આયુષ કચેરી ગાંધીનગરની પહેલ હેઠળ આયુષ ગ્રામ યોજના અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના તંદુરસ્ત ભવિષ્ય માટે અમૃતપેય, ઉકાળો અને સુવર્ણપ્રાશનનું વિતરણ કરાયું.

આ કાર્યક્રમના અંતર્ગત સરકારી આયુર્વેદ દવાખાનાના મેડિકલ ઓફિસર ડૉ. ભાવિનકુમાર આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ બાળકોને રોગપ્રતિરોધક હર્બલ ટી “અમૃતપેય” પીવડાવવામાં આવી હતી. સાથે જ ઋતુગત રોગોથી બચવા માટે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું અને ૦ થી ૧૨ વર્ષના દરેક બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં પણ આપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત આયુર્વેદિક ઔષધીય રોપા જેમ કે હરડે, બહેડા, આમળા અને કરંજ નું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકો અને વાલીઓને આયુષ પત્રિકા અને આરોગ્ય અંગે માર્ગદર્શન આપતી માહિતી પાઠવવામાં આવી હતી. યોગ પ્રાણાયામના માધ્યમથી આરોગ્ય કેવી રીતે મજબૂત બનાવાય એ અંગે યોગ શિક્ષક રમણભાઈ અને આશાબેન દ્વારા પ્રાત્યક્ષ રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય હિનલબેન લાડ સહિત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

રિપોર્ટ: અંકેશ યાદવ, ખેરગામ