ધરમપુરમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને બસમાંથી ઉતારી દેવાયા બાદ વાલીઓમાં રોષ.

ધરમપુર ખાતે અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓને બસ સેવા દરમિયાન ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મળતી માહિતી મુજબ, ગજ 18 ઝ 8126 નંબરની બસ ધારમપુર ખાતેથી સાંજે 5 વાગ્યે ઉપડી હતી ત્યારે કંડકટરે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તમારો પાસ અહીંથી ચાલુ નથી અને નવી ટિકિટ કાઢવી પડશે.

વિદ્યાર્થીઓ પાસે પૂરતા ભાડાના પૈસા ન હોવાથી તેમને જકાતનાકા પાસે બસમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો. આ અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ધરમપુર ડેપો મેનેજરશ્રીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી.

ફરિયાદમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે હાલ પુલ બંધ હોવાથી બસો વિરવલ અને રાજપુર થઈને જાય છે અને એમાં જ વિદ્યાર્થીઓ મુસાફરી કરે છે. ત્યારે વહીવટી તંત્રની ભૂલ હોવા છતાં વિદ્યાર્થીઓને ઉતારી દેવું કેટલું યોગ્ય છે એવો સવાલ ઉઠાવવામાં આવ્યો.

ડેપો મેનેજરશ્રીએ જવાબ આપતા જણાવ્યું કે અગાઉ જ ડ્રાઇવર અને કંડકટરને સૂચના આપવામાં આવી હતી કે વિદ્યાર્થીઓના પાસ માન્ય ગણાશે, પરંતુ નવા સ્ટાફને આ માહિતી ન હોવાથી ભૂલ થઈ. હવે તમામ સ્ટાફને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓના પાસ અહીંથી જ માન્ય ગણાશે અને કોઈને ઉતારી મુકવામાં નહીં આવે.

વાલીઓએ પણ ચિંતા વ્યક્ત કરી કે જે વિદ્યાર્થીઓ ફરિયાદ કરે છે, તેમના વિષે કંડકટરો દ્વારા શોધખોળ કરવામાં આવે છે. આ મુદ્દે ડેપો મેનેજરશ્રીએ સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો કડક પગલાં લેવાશે. સાથે જ તેઓએ વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું કે આજથી આવી ઘટના ફરી બનશે નહીં.