ધરમપુરમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે રીઢા ચોર ઝડપાયા, મૂદામાલ પણ કબ્જે

ધરમપુર:

ગત તા. ૮ એપ્રિલથી ૧૭ એપ્રિલ ૨૦૨૫ના રોજ અસુરા વાવ નજીક રાજમહેલ રોડ ધરમપુર ખાતે થયેલી એક ગંભીર ઘરફોડ ચોરીના ગુનામાં બે આરોપીઓને ધરમપુર પોલીસ ઝડપવામાં સફળ રહી છે.

ફરીયાદી સલાઉદ્દીનભાઈ શેખના ઘરના દરવાજા તોડી અંદર ઘૂસી તેઓએ આશરે ૯૦ ગ્રામ સોનાના દાગીના (કિંમત રૂ. ૧,૮૦,૦૦૦/-), રોકડ રૂ. ૨,૦૦,૦૦૦/- તેમજ સીસીટીવી ડીવીઆર (કિંમત રૂ. ૫,૦૦૦/-) ચોરી કર્યા હતા. કુલ ચોરી થયેલી માલમાલની કિંમત રૂ. ૩,૮૫,૦૦૦/- નો આંક આપવામાં આવ્યો છે.

ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઇને, સુરત પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ, વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરણરાજ વાઘેલા અને નાયબ પોલીસ અધિક્ષક એ.કે.વર્મા ની દિશા હેઠળ ધરમપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર એન.ઝેડ.ભોયા અને આર.કે.પ્રજાપતિ સહિતની ટીમે વિગતવાર તપાસ હાથ ધરી. ફિંગરપ્રિન્ટ તથા ટેકનિકલ એનાલિસિસ દ્વારા આરોપીઓ લાલજીભાઈ લક્ષુભાઈ વળવી (ઉમ્ર ૪૫, ખેતી-ડ્રાઇવિંગ વ્યવસાય, વેરી ભવાડા કાસીટ, કપરાડા તાલુકો) અને રવિ સદાનંદ તીવારી (ઉમ્ર ૪૩, ડ્રાઇવર, ઉમરગામ ગાંધીવાડી)ને ઝડપી પાડવામાં આવ્યા.

પોલીસની પૂછપરછમાં બંને આરોપીઓએ ગુનાની કબુલાત કરી છે. આ દરમ્યાન પોલીસે ચોરીમાં ગયેલા કેટલાક દાગીના અને રોકડ રકમ પણ કબ્જે કરી છે. જેમાંથી ત્રણ સોનાની ચેઇન અને એક સોનાનું કડુ ખાસ નોંધપાત્ર છે. બાકીના દાગીનાનું મૂલ્ય રૂ. ૧,૧૩,૪૮૦/- અને રોકડ રૂ. ૨૩,૦૦૦/- મળી કુલ રૂ. ૧,૩૬,૪૮૦/- નું મુદામાલ કબજેમાં લીધું છે.

લાલજીભાઈ વળવી અને રવિ તીવારી પોલીસ કસ્ટડીમાં છે, જેમાં લાલજીભાઈ ૩ જૂન અને રવિ ૫ જૂન સુધી કસ્ટડીમાં રહેશે. વધુ તપાસ ચાલુ છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.