કરજણ વિધાનસભાના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા નેશનલ હાઇવે 48 પરના ટ્રાફિકજામની સમસ્યાને લઈ મહત્વની પહેલ કરવામાં આવી છે. આજે ધારાસભ્ય દ્વારા સડક પરિવહન અને વાહન વ્યવહાર મંત્રી શ્રી નીતિન ગડકરીને વિવિધ ચોકદીઓ પર બ્રિજની જરૂરિયાત અંગે રજૂઆત કરાયા બાદ, સ્થાનિક અધિકારીઓ અને Highway Authority ની ટીમ સાથે સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
વિશિષ્ટ માહિતી મુજબ લાકોદરા ચોકડી, કરજણ ભારત કોટન સેવાસદન ચોકડી, માંગલેજ-નારેશ્વર ચોકડી તથા પોર-ઇટોલા ચોકડી ખાતે બ્રિજ માટે યોગ્ય સ્થળ પસંદગી અને હાલની સ્થિતિનો અહેવાલ તૈયાર કરવા માટે અધિવેશનના અધિકારીઓએ મુલાકાત લીધી.
આ સ્થળ મુલાકાત દરમિયાન ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ ઉપરાંત, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના અધિકારીઓની ટીમ, કરજણના પ્રાંત અધિકારી, કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.કે. ભરવાડ, કરજણ નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિખિલભાઈ ભટ્ટ, તેમજ નવીન નિયુક્ત કરજણ તાલુકા ભાજપ મહામંત્રી પૃથ્વીરાજસિંહ પઢીયાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
પોર ખાતે યોજાયેલ મુલાકાત દરમિયાન વરણા પોલીસ સ્ટેશનના પીઆઈ, વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલ, જીઆઈડીસીના હિતેશભાઈ પટેલ અને પોરના પૂર્વ સરપંચ પ્રીતેશભાઈ તેમજ અન્ય સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા.
જાહેર સુરક્ષા, વહેંચાયેલો ટ્રાફિક ભાર અને રાહદારી સુરક્ષા જેવા મુદ્દાઓને ધ્યાને લઈને બ્રિજની માંગ ખુબજ યોગ્ય હોવાનું ધારાસભ્યએ જણાવ્યું. આગામી સમયમાં આ રજૂઆતનો અમલ થવાથી કારચાલકો અને સ્થાનિક વસાહતોના લોકો માટે મોટી રાહત થવા જઈ રહી છે.
અહેવાલ:- મનોજ દરજી કરજણ