રાજકોટ, ધોરાજી:
ધોરાજી શહેરના સર ભગવતસિંહજી શાકમાર્કેટમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાકમાર્કેટના પાણીના જૂના બુગદામાંથી આશરે 45 વર્ષીય યુવાનની નગ્ન હાલતમાં લાશ મળી આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે.
મૃતક યુવાનની ઓળખ બટુકભાઈ નરસિંહભાઈ મકવાણા તરીકે થઈ છે, જે ધોરાજી શહેરના રામપરા વિસ્તારમાં રહેતા હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરાજી પોલીસ તંત્ર, નગરપાલિકા તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
પોલીસ અને નગરપાલિકા સ્ટાફ દ્વારા યુવાનની લાશ બુગદામાંથી બહાર કાઢી ધોરાજીની સરકારી હોસ્પિટલમાં પી.એમ. માટે ખસેડવામાં આવી હતી.
હાલ ઘટનાની પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસને આ ઘટના શંકાસ્પદ જણાઈ રહી છે અને સંપૂર્ણ રીતે તપાસના ચક્રો ઝડપથી ઘુમાવી રહ્યા છે.
ઘટનાને પગલે ધોરાજી શાકમાર્કેટ વિસ્તારમાં લોકોના ટોળા ટોળા ભેગા થઈ ગયા હતા. લોકોમાં આ ઘટના અંગે ચિંતાની લાગણી ફેલાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ધોરાજી નગરપાલિકા દ્વારા જૂનું બિલ્ડીંગ તોડી આધુનિક શાકમાર્કેટ માટે આશરે અઢી કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. છતાં આજદિન સુધી વેપારીઓને આ શાકમાર્કેટ હસ્તાંતર કરવામાં આવ્યુ નથી.
પરિણામે આ જગ્યાએ અસામાજિક તત્વોની અવરજવર વધી ગઈ હોવાનું સ્થાનિક લોકોનો આરોપ છે. આવા સંજોગોમાં આ ઘટના કઈ રીતે બની તે એક મુખ્ય પ્રશ્ન બની રહ્યો છે.
હાલ ધોરાજી પોલીસ સમગ્ર ઘટનાની ચોકસાઈથી તપાસ કરી રહી છે અને પી.એમ.ના રિપોર્ટ પછીCause of Death સ્પષ્ટ થશે.
અહેવાલ: વિમલ સીસોઢયા ,ધોરાજી રાજકોટ