ધોરાજી તાલુકાના ભાદાજાળીયા ગામના સરપંચ અને પૂર્વ તલાટી ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ, TDOને આવેદનપત્ર પાઠવાયું

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભાદાજાળીયા ગામમાં હાલના સરપંચ અને પૂર્વ મહિલા તલાટી મંત્રી સામે ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે આજ રોજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

ભાદાજાળીયા ગામના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પિન્ટુભાઈ પૂનાભાઈ સારીખડા તથા ગામના અન્ય આગેવાનોએ મળીને ધોરાજી તાલુકા પંચાયત ખાતે હાજરી આપી હતી. તેઓએ જણાવ્યું કે ગામમાં કરાયેલ અમુક વિકાસકામો દરમિયાન ખોટા વાઉચરો બનાવીને સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી છે.

આ મામલે TDOને સવિસ્તાર આવેદનપત્ર આપીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે અને યોગ્ય તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે.

આક્ષેપ મુજબ કેટલાક વિકાસકામો માત્ર કાગળ પર દેખાડવામાં આવ્યા છે જ્યારે જમીનસ્તર પર કોઈ સાક્ષાત્ કાર્ય દેખાતું નથી. તેમજ કામકાજની ચલણી પ્રક્રિયામાં પારદર્શિતાની ભારે અછત હોવાનું પણ આગેવાનો તરફથી જણાવવામાં આવ્યું છે.

હાલ ભાદાજાળીયા ગામ આ સમગ્ર ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. ગામના સામાન્ય લોકોમાં પણ આ મામલે રોષ અને પ્રશ્નચિહ્ન ઉભા થયા છે.

હવે જોવાનું એ રહેશે કે તાલુકા વિકાસ અધિકારી કે અન્ય ઉચ્ચ અધિકારીઓ આ મામલે કેવી કાર્યવાહી કરે છે અને શું ખરેખર ભ્રષ્ટાચારના આક્ષેપો સત્ય સાબિત થાય છે કે નહિ – તે તો આગામી દિવસોમાં તપાસ બાદ જ બહાર આવશે.