આજના ડિજિટલ યુગમાં વધતા સાઇબર ગુનાઓને લઇને લોકોમાં જાગૃતિ આવશ્યક બની છે. આવા પરિસ્થિતિમાં નવસારી **સબજેલ ખાતે એક વિશેષ ‘સાયબર અવેરનેસ કાર્યક્રમ’**નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાઇબર સિક્યોરિટીના વોલન્ટિયર શ્રી પરેશ નાગપાલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
કાર્યક્રમમાં સબજેલના અધિકારીઓ, પોલીસ સ્ટાફ, PSI તથા જેલ કર્મચારીઓએ હાજરી આપી હતી. શ્રી પરેશ નાગપાલે સાધારણ લાગતી લિંક્સ અને OTPના માધ્યમથી થતી મોટી ઠગાઈઓ વિશે જણાવ્યુ હતું. તેમણે ખાસ કરીને ફિશિંગ, સ્મિશિંગ, વિશિંગ, QR કોડ, સોશિયલ મીડિયા છેતરપિંડી, ઓનલાઈન લોન સ્કેમ, બ્લેકમેલિંગ, નકલી કસ્ટમ ઓફિસર કે રિવોર્ડ સ્કેમ જેવા અનેક પ્રકારના સાઇબર ફ્રોડ વિષે વિગતો આપી.
આ ઉપરાંત સાયબર ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એમ.એમ. શેખે પોતાની અનુભવસભર ભાષામાં હકીકતો રજૂ કરી હતી કે સામાન્ય માણસ કઈ રીતે સાઇબર ક્રિમિનલનો ભોગ બને છે અને આવા ગુનાઓ સામે કઈ કાયદાકીય કામગીરી શક્ય બને છે.
કાર્યક્રમ દરમિયાન થાવા જેવા મોટાભાગના ફ્રોડથી બચવા માટે “હું સતર્ક – હું સાવચેત” અભિયાન અંતર્ગત લોકોને પોતાનું ડેટા સુરક્ષિત રાખવા માટેના પગલાં, પાસવર્ડ સુરક્ષા, બિનજરૂરી લિંક પર ક્લિક ન કરવી, મોબાઇલમાં આવતા વિદેશી કોલ્સ કે લિંક ન ખોલવા જેવી સલાહો પણ આપવામાં આવી.
આ કાર્યક્રમનો હેતુ જેલ સ્ટાફ તેમજ અધિકારીઓને સાઇબર ક્રાઈમ અંગે માહિતગાર કરી તેમને તેમજ તેમની આસપાસના લોકો માટે સુરક્ષાનું વાતાવરણ ઉભું કરવું રહ્યો.
અંતે, કાર્યક્રમ માટે જેલ પ્રશાસન તેમજ સાઇબર સિક્યોરિટી ટીમનો આભાર માનતા અધિકારીઓએ આવા વધુ કાર્યક્રમો સતત આયોજિત થવા જોઈએ એવી માંગણી કરી હતી.
અહેવાલ :-આરીફ શેખ (નવસારી)