“પ્રવેશોત્સવનો પ્રથમ દિવસ : આમોદ્રામાં શિક્ષણ રાજ્યમંત્રીના હસ્તે નાનાં પગલાંએ લીધું ભવિષ્ય તરફ પગથિયું”

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫ના પ્રથમ દિવસે ઉના તાલુકાના આમોદ્રા ગામે ઉજવણીનો ભવ્ય માહોલ જોવા મળ્યો હતો. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાના હસ્તે વિદ્યાર્થીઓએ શાળામાં ઉલ્લાસભેર પ્રવેશ કર્યો હતો.

મંત્રીએ બાલવાટિકા અને આંગણવાડીમાં નાના ભૂલકાઓને ચોકલેટ આપી મોં મીઠું કરાવ્યું હતું અને ધોરણ ૧ તથા ધોરણ ૯ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ આપી પ્રવેશ કરાવ્યો હતો.

પ્રવેશોત્સવના અવસરે મંત્રીએ જણાવ્યું હતું કે, “શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. શિક્ષણના મૂળ તત્વોની કેળવણી થકી જ દેશના ભવિષ્યના નાગરિકોનું ઘડતર થાય છે.

શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા અનેક પગલાઓની વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ૧.૨૮ લાખ સ્માર્ટ ક્લાસ રૂમ, ૧૫ હજારથી વધુ કોમ્પ્યુટર લેબ અને ૨૦ હજાર જેટલી સ્કૂલોને “સ્કૂલ ઓફ એક્સલન્સ”માં સમાવિષ્ટ કરાઈ છે.

મંત્રીએ કન્યા કેળવણીના પ્રત્યેના સરકારના દૃઢ સંકલ્પને યાદ કરતા કહ્યું કે દીકરીઓના શિક્ષણ માટે સુવિધાસભર માળખું ઉભું કરાયું છે, જેથી ગુજરાતની કન્યાઓ વિશ્વમંચે ઉજાસ લાવી શકે.

આમોદ્રા ગામે કુલ ૧૩ કુમાર અને ૨૦ કન્યા બાલવાટીકામાં પ્રવેશી, જ્યારે ધોરણ ૧માં ૩૫ અને ધોરણ ૯માં ૩૬ વિદ્યાર્થીઓએ પ્રવેશ કર્યો. આ ઉપરાંત, ધોરણ ૧૧માં ૨૩ વિદ્યાર્થીઓએ ભણવાની નવી સફર શરૂ કરી.

પ્રવેશોત્સવ દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ સ્વાગત ગીત અને કાર્યક્રમનું સંચાલન કરનારી વિદ્યાર્થિનીઓનું મંત્રીશ્રીએ પાટો પહેરાવી સન્માન કર્યું.

વિશિષ્ટ મેદાનોમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓ – જેમ કે CET, NMMS પરીક્ષાના વિજેતાઓ અને ખેલમહાકુંભમાં સફળ છાત્રોને પણ એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

કાર્યક્રમમાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી. બોરિચા, પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલ સહિત તાલુકા અને જિલ્લા પંથકના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અહેવાલ : પ્રકાશ કારાણી, (વેરાવળ-સોમનાથ).