ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તથા એન.એસ.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે બહાઉદીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ ખાતે થેલેસેમિયા ટેસ્ટ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા પેઢીને આરોગ્ય પ્રત્યે વધુ જાગૃત કરવા અને ખાસ કરીને થેલેસેમિયા જેવી ગંભીર સમસ્યાની અટકાવ માટે આ કેમ્પ યોજાયો હતો.
આ કાર્યક્રમની શરૂઆત ઉદ્ઘાટન સમારંભથી થઈ હતી. ઉદ્ઘાટન પ્રસંગે તત્વજ્ઞાન વિભાગના વડા અને કોલેજના આચાર્યની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી. પોતાના વક્તવ્યમાં ડૉ. બારસિયાએ થેલેસેમિયા ટેસ્ટ કરાવવાનું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે થેલેસેમિયા માયનોર હોય ત્યારે કોઈ ભય નથી, પરંતુ તે અંગે જાગૃતિ રાખવી જરૂરી છે. સાથે સાથે તેમણે વિદ્યાર્થીઓને અનુશાસનના મૂલ્યો વિષે પણ માર્ગદર્શન આપ્યું.
પ્રિન્સિપાલ ડૉ. જે. આર. વાઝાએ અધ્યક્ષ સ્થાને રહીને રુધિરમાં હિમોગ્લોબીનનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે ખાસ કરીને ભારપૂર્વક જણાવ્યું કે માત્ર કુંડળી મેળવવી પૂરતી નથી, પરંતુ લગ્ન પહેલાં થેલેસેમિયા રિપોર્ટ ચકાસવો એટલો જ આવશ્યક છે. તેમણે સમજાવ્યું કે જો યુવક અને યુવતી બંને થેલેસેમિયા માયનોર વાહક હોય તો લગ્ન પછી જન્મનાર બાળક થેલેસેમિયા મેજરનો શિકાર થઈ શકે છે, જેનું જીવન ખૂબ સંકટમય બની જાય છે. દર ૧૫થી ૨૦ દિવસે લોહી ચડાવવાની ફરજ પડે છે, જેના કારણે બાળક અને પરિવાર બંનેને કઠિન પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે.
પ્રિન્સિપાલે દા.ત. આપતા જણાવ્યું કે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન થેલેસેમિયા માયનોર છે, પરંતુ તેમના ધર્મપત્ની જયાબચ્ચન નોર્મલ હોવાથી તેમના બાળકો સ્વસ્થ છે. આમ, થેલેસેમિયા માયનોર વ્યક્તિ સ્વસ્થ હોય છે, પરંતુ બંને પતિ-પત્નિ માયનોર ન હોવા જોઈએ તે અંગે ખાસ ચેતવણી આપી હતી.
આ કેમ્પમાં કોલેજના પ્રથમ વર્ષના કુલ ૨૫૭ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક ચેકઅપ કરાવ્યું હતું. વિદ્યાર્થીઓમાં ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ જોવા મળ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર તથા થેલેસેમિયા ટેસ્ટ ચેકઅપ કમિટીના પ્રા. ભાવિક ચાવડા, ડૉ. એમ. આર. કુરેશી, અંગ્રેજી વિભાગના વડા ડૉ. દીપિકા કેવલાણી, સમાજશાસ્ત્ર વિભાગના ડૉ. ચંદ્રકાંત વણકર, ડૉ. મેઘરાજસિંહ જાડેજા, એન.સી.સી. તથા હિન્દી વિભાગના ડૉ. રાજીવ ડાંગર, તત્વજ્ઞાન વિભાગના ડૉ. જીગ્નેશ કાવ્યા તથા ડૉ. રતિલાલ કાલરીયાનો વિશેષ સહકાર પ્રાપ્ત થયો હતો.
📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ