ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા નજીક અજાણ્યા વાહનની અડફેટે પરપ્રાંતિય શ્રમજીવીનું મોત.

ભરૂચ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો ધોરીમાર્ગ તેના પર વધતા જતા અકસ્માતોને લઇને એક્સિડન્ટ ઝોન બની રહ્યો છે. મોટાભાગે કોઇ દિવસ તાલુકામાં અકસ્માત વિનાનો ખાલી નહિ જતો હોય એમ કહિયે તોપણ ખોટું નહિ ગણાય !અકસ્માતોની સંખ્યામાં વધારો કરતી ઘટનામાં ગતરોજ તા.૨૯ મીના રોજ રાજપારડી નગરના ચાર રસ્તાથી થોડે દુર ઝઘડિયા તરફ જવાના માર્ગ પર કોઇ અજાણ્યા વાહનની અડફેટે એક પરપ્રાંતિય શ્રમજીવીનું કરુણ મોત નીપજ્યું હતું. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ મુળ ઉત્તરપ્રદેશનો વિક્રમસિંગ અવધરામસિંગ નામનો યુવક અન્ય પરપ્રાંતિય યુવકો સાથે રાજપારડી ખાતે ભાડાના મકાનમાં રહેતો હતો.

મૃતક રાતના પડીકી લેવા ઘરેથી નીકળીને ચાલતો જતો હતો ત્યારે કોઇ અજાણ્યા વાહનચાલકે અકસ્માત સર્જયો

આ શ્રમજીવી યુવકો ખેતરમાંથી કેળા કાપીને ગાડીઓમાં ભરવાનું કામ કરે છે. ગતરોજ તા.૨૯ મીના રોજ વિક્રમસિંગ તેની સાથે રહેતા અન્ય મિત્રોને કહીને ઘરેથી નીકળીને રાજપારડી ચાર રસ્તા પર પાન પડીકી લેવા ગયો હતો. વિક્રમસિંગ ચાલતો ચાલતો જઇ રહ્યો હતો તે દરમિયાન ઝઘડિયા તરફના માર્ગ પર ચાર રસ્તાથી થોડે દુર કોઇ અજાણ્યા વાહને અડફેટમાં લેતા વિક્રમસિંગ માથા પગ સહિત શરીરના અન્ય ભાગોએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.અકસ્માતની જાણ તેના સાથી મિત્રોને થતા તેઓ તરત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત થયેલ વિક્રમસિંગને રાજપારડી ચાર રસ્તા નજીકના એક દવાખાને સારવાર માટે લઇ ગયા હતા,જ્યાં તબીબે વિક્રમસિંગને તપાસીને મરણ પામેલ જાહેર કર્યો હતો.અકસ્માતની આ ઘટના સંદર્ભે મૃતકના મિત્ર રામુ ભજઉ પાસવાન હાલ રહે.ગામ રાજપારડી અને મુળ રહે.ઉત્તરપ્રદેશનાએ રાજપારડી પોલીસમાં અકસ્માત સર્જી નાશી ગયેલ અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અહેવાલ :- નિમેષ ગોસ્વામી ઝઘડિયા