ભવનાથ, જૂનાગઢમાં દર વર્ષે યોજાતો શિવરાત્રીનો મેળો એ તો હરી સાથે હર અને શિવ સાથે જીવનો સમનવય નો મેળો છે.

ભજન, ભોજન, ભક્તિ નું ત્રિવેણી સંગમ એટલે ભવેહરનો મેળો,

જૂનાગઢ તા.૧૯, ગુજરાત ઉપરાંત દેશભરમાં ઉજવાતા ભાતીગળ મેળાઓમાં કુંભના મેળાની જેમ મહાદેવ ભોળાનાથના નામ (શિવ)સાથે જોડાયેલ મહા શિવરાત્રીનો મેળો કે જે ભવનાથમા ગરવા ગિરનારની ગોદમાં પ્રતિ વર્ષ ભારે ઉમંગ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ગુજરાત પ્રદેશ અનેક ભાતીગળ સાંસ્‍કૃતિક અસ્‍મિતાની ધરોહર છે. વન થી જન સુધી અને ગામ થી નગર સુધી પ્રત્‍યેક ભારતવાસી મેળાનાં માણીગર છે. મેળાનાં માધ્યમે સંસ્‍કારીતાની ધારા પ્રાંતે પ્રાંતમાં અવિરત વહેતી રહે છે. ભાષા, ધર્મ કે પ્રાંતના વાડાનાં સિમાડા ઓળંગીને એકમેકની સાથે આતપ્રોત થવાનો અનેરો મહીમા એટલે જ મેળો, મન મુકીને મહાલવાનો અનોખો અવસર એટલે મેળો,મહા શિવરાત્રીનો મેળો એ તો હરી સાથે હર અને શિવ સાથે જીવનો સમન્વયનો મેળો છે.
અહીં હીમાલયની ગુફાઓમાં ધ્યાન ધરતા સિધ્ધપુરૂષો, કાશ્મીરથી કન્‍યા કુમારી સુધી પગપાળા યાત્રા કરનારા પરિવ્રાજક (સન્‍યાસીઓ), અખાડાઓનાં સાધુ ,સંતો, મહંતોનાં દર્શન થાય છે. તેમની સાથે જો વાત કરવાની તક મળે તો ધ્યાનમાં આવે કે તેઓ જ્ઞાન અને અનુભવોનો સાક્ષાત હિમાલય છે. આટલી વિદ્વત્તા ધરાવતા હોવા છતા નમ્રતા, પ્રીતિસભર દ્રષ્‍ટી સહુ કોઇને પોતાનામાં સમાવી લેનારા સાગર જેવડી વિશાળ હોય છે,


ગુજરાત રાજયમાં કુલ નાના મોટા ૧૫૨૧ જેટલા મેળા ભરાય છે. તેમાં સૌરાષ્‍ટ્ર પ્રદેશમાં ભવનાથ, માધુપુર, તરણેતરનો મેળા તો જગ મશહુર છે. તેમાંય ખાસ કરીને ભવનાથમાં મહાશિવરાત્રી નો મેળો ભકિત-ભોજન અને ભજનનો મેળો, તરણેતર નર્તન અને રંગનો મેળો અને માધુપુરનો મેળો એટલે કિર્તન અને રૂપનો મેળો મનાય છે. ગીરનારની મહંતાઇ ધરાવતા સંતો તો કહે છે કે મહાશિવરાત્રી મેળો એ તો ગ્રામિણ ખેડુતોનો મેળો છે અહીં કૃષિકારો અગાઉના વખતમાં અનાજ લઇને આવે અને અન્નક્ષેત્ર દ્વારા લોકોને ભોજનપ્રસાદ પિરસતા હવે વખત બદલાયો છે, છતાં શિવરાત્રી મેળો એ તો ભજન-ભોજન અને ભક્તિનો જ મેળો બન્યો છે, યાત્રીકોની સેવા માટે અનેક ઉતારા મંડળો, સમાજશ્રેષ્ઠીઓ અન્નક્ષેત્રના માધ્યમે મેળાની ગરીમાને ઉંચાઇ બક્ષે છે.
આમેય સોરઠ પ્રદેશનાં લોકો તો ભગવાનને પણ અતિથી બનાવીને ભોજન કરાવી શકે એવી ક્ષમતા ધરાવે તેવા ઈતિહાસનાં પાને કીવદંતી સ્વરૂપ દાખલા સાંભળવા મળે છે. બિલખાનાં શગાળશા અને ચંગાવતી રાણી હોય કે ભક્ત નરસિંહ મહેતા, કે વિરપુર ના જલારામ બાપા હોય ઈશ્વરની આરાધના કરી ઈશ્વરને આંગણે નિમંત્રી શકે તેવી વાતો સાંભળી છે ત્યારે સેવાની સરવાણી સમાન જૂનાગઢ જિલ્‍લામાં જ પરબવાવડી ખાતે અષાઢી બીજનો મેળો, સતાધારનો મેળો, ભગવાન સોમનાથનાં દ્વાદશ જયોર્તિલીંગ ધામે કાર્તિકી પુનમે ભરાતો મેળો, લીલી પરિક્રમાનો કાર્તિકી એકાદશીનો મેળો, તુલશીશ્‍યામનો મેળો, ચોરવાડનો ઝુંડનો મેળો, ગુપ્‍તપ્રયાગનો મેળો વગેરે નાના અને મોટા મેળાઓ જૂનાગઢ અને આસપાસનાં પરગણામાં ભાતીગળ રીતે ભરાય જ છે.
ભવનાથ ના મેળામાં મહાનગરપાલિકા દ્વારા વેપારીઓને જુદા જુદા સ્ટોલો ચલાવવા માટે જગ્યા ભાડે આપવામાં આવે છે, તેમજ મનોરંજન માટે નાના બાળકોથી માંડીને મોટા ઓ માટે આનંદ લુંટવા એક અલગથી જગ્યા નક્કી કરી ત્યાં જુદા જુદા પ્રકારની રાઈડસ ચલાવવામાં આવે છે, આ મેળામાં ખાણી પીણીના, જુદા જુદા પ્રકારની વસ્તુઓના વેચાણના, ધંધા ના પ્રચાર પ્રસાર ના, સરકારી યોજનાઓની જાણકારીના, પુછપરછના, વિગેરે સ્ટોલો હોય છે, સલામતી માટે પોલીસ ખડેપગે હોય છે, સરકારી તંત્ર દ્વારા મેળાનું નિયમન થાય છે.
જૂનાગઢ એટલે આમેય સંત, શુરા અને સાવજની ભોમકા, અહીં જ લોકસાહિત્ય ની લોકભોગ્ય વાણી દ્વારા કાઠીયાવાડનાં ખમિરવંતા ભોળા માનવ ભગવાનને વિનવે છે કે”કાઠીયાવાડમાં કોક દી ભુલો પડને ભગવાન, તને મોંધેરો કરૂ મહેમાન સ્‍વર્ગ ભુલાવુ શામળા” ભોળા ભાવે ભુલો પડી પોતાનાં ઘરે આતિથ્‍યભાવે નોતરૂ આપી શકે છે. અહીં અજાણ્‍યાને મીઠો આવકારો અપાય છે. ભુખ્‍યાને ભોજન અને દુઃખીને સહાયની સરવાણી કાયમ વહેતી રહે છે. આથી જ સતદેવીદાસ અને અમરમાંના પરબ જેવા ધામે સેવા-સરવાણી વહી હશે. શેઠ શગાળશા જેવા શાહ, દાનબાપુ કે આપા ગીગા જેવા સંતનાં બેસણા આ જિલ્‍લામાં થયા હોય એવી ધરાનું કેન્‍દ્ર બીંદુ એટલે ગરવા ગીરનારની ગોદ એટલે શિવ અને જીવનો સંગમ, પ્રતિ વર્ષ કુંભ મેળાની નાની આવૃતિ રૂપે મેળો ભરાય છે.
શિવ સ્‍વંભુ પરબ્રહ્મ છે. એ અનાદી અને અનંત છે. અગ્નીસ્‍તંભ રૂપે એ જે દિવસે પ્રગટયા એ દિવસ એટલે મહાશિવરાત્રી. આથી શિવપુજનનો એ મુખ્‍યદિવસ મનાયો છે. એટલે જ મહાશિવરાત્રી એ શિવની કલ્‍યાણકારી રાત્રી મનાઇ છે,


શંકર સુમિરન તે સદા, તુટે માયા તંત,
જપત નિરંતર જોગીજન, સાધક સાધુ સંત,
મહાદેવ શિવ પાતાળની તપશ્ચર્યા પુર્ણ કરી પર્વતાધિરાજ ગિરનારમાંથી કૈલાસ ગયા એ દિવસથી સિધ્‍ધક્ષેત્ર ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો ભરાતો હોવાનું લોકજીભે ચર્ચાય છે. બ્રહ્મલીન ભોજાબાપા આ મેળાને કમંડળ થી મંડળનો મેળો કહેતા. કમંડળ એટલે સાધુ સંતો, મહંતો, સન્‍યાસી, સિધ્‍ધો અને સાધકો અને મંડળ એટલે લોકસમુદાય-માનવ મહેરામણ આ બન્‍ને સમુદાયનો આ મેળો છે. ભવનાથ, ભભુતી, ભજન, ભવેશ્વર અને ભોજન એ પાંચ નો સમન્‍વયીત મેળો એટલે મહાશિવરાત્રીનો ભાતીગળ મેળો. ઠેક ઠેકાણે સાધુ સંતોની ધુણી ધખતી હોય, ભાવીકો મેળાનાં ભજન ની સરવાણી પાન કરતા હોય, બાળકો, માતાઓ-બહેનો મેળાની સંસ્‍કારીતાની વાત રજુ કરે ત્‍યારે આ જૂનાગઢના અમર વારસા સમો મહાશિવરાત્રીનો મેળો દૈદિપ્‍યમાન બની રહે છે. શિવ સાથે આમેય સોમનાથથી ભવનાથ સુધીનો અનોખો મહિમા આ જીલ્‍લામાં રહ્યો છે. ચંદ્ર, શિવ અને સમુદ્રનો રોહીણી નક્ષત્રએ પ્રભાસ તિર્થક્ષેત્રે મિલાપ. આવો જ ઇશ્વર સાથે એકાકરનો અનેરો અવસર એટલે ભવનાથ ક્ષેત્રનો મહા શિવરાત્રીનો મેળો. અહીં પ્રતિ વર્ષ ૫ થી ૬ લાખ શ્રધ્‍ધાળુઓ ભવનું ભાથુ બાંધવા પધારે છે. દેશભરમાંથી વિવિધ સંપ્રદાયનાં સાધુ સંતો મહંતો અખાડાનાં સન્‍યાસીઓ પોતપોતાનાં રસાલા સાથે ધર્મ ધ્વજા અને ધર્મ દંડ સાથે ભવનાથ તિથર્ક્ષેત્રમાં નિવાસ કરે છે. સર્વ સિધ્‍ધો, નાથયોગીઓ, ગેબમાં રહેતા અપ્રકટ વસતા અઘોરીઓ, ગુરૂ દતાત્રેય, ગોપીચંદ, અશ્વત્‍થામા, ભૃતુહરી, ગોરખનાથ તેમજ શિવનાં ત્રણ ગણ કાળભૈરવ, બટુક ભૈરવ અને ચંદ્રભૈરવ સદેહે આ સમય દરમ્‍યાન રેવતાચલ પર્વતની ગિરી તળેટીનાં શિવરાત્રીનાં મેળામાં વિહરતા હોવાની લોકમાન્‍યતાને કારણે લોક વિશાળ સમુદાયમાં દર વર્ષે પરંપરાગત ભાગ લેતા આવ્‍યા છે. સાધકોએ અખંડ બાર વર્ષ સુધી શિવરાત્રીની સાધનાં સિધ્‍ધક્ષેત્ર ગિરનારમાં કરવાની હોવાથી સાધકોની સંખ્‍યા પણ ઘણી મોટી હોય છે.
આ મેળામાં એક માન્‍યતા પ્રમાણે યક્ષનાં નામે સ્‍તંભારોપણ થયુ એમ મનાય છે. મહા વદ ૯ (નવમી)નાં રોજ ભવનાથ મહાદેવનાં મંદિરે ધ્‍વજારોપણથી મેળાનો વિધીવત પ્રારંભ થતો હોય છે. મહા વદી ૧૪ (ચૌદશ)ની અર્ધરાત્રીએ પુર્ણ થાય છે. આ દિવસો દરમ્‍યાન દરેક ઉતારે ભજન-ભોજન, કિર્તન, દુહા, છંદ, લોકવાર્તા, સંતવાણી અને સંત સમાગમ થાય છે. અખાડાઓમાં ધુણીઓ તપતી હોય છે. સેવાર્થીઓ પોતપોતાનાં ઉતારામાં રાત-દિવસ અખંડ સેવાઓ આપતા થાકતા નથી. મેળામાં બારસ-તેરસ અને ચૌદસ એ ત્રણ દિવસ તો ભરચક માનવ મહેરામણ હિલોળા લેતું નજરે ચડે છે. કુંભમેળાનું નાનકડું રૂપ એટલે આપણો ગરવા ગુજરાતનો આ મેળો. અહીં સાધુ સંતો કેન્‍દ્ર સ્‍થાને છે. સ્‍કંદપુરાણ, હરિવંશ અને વિષ્‍ણુપુરાણમાં ગીરનારનું મહાત્‍મય અને વર્ણન પ્રસિધ્‍ધ હોવાથી ગુજરાતભરનાં મેળાઓમાં આ મેળો અનોખું સ્‍થાન ધરાવે છે,


શિવરાત્રીનાં દિવસે વહેલી સવારથી જ મૃગીકંડને તાળાબંધી પહેરો લાગી જતો હોય છે જેમાં દિવસભર પ્રવેશબંધી રહે, દિવસભર જટાધારી સંતો સાધુઓ શિવપાર્વતિનાં વિવાહ મહિમાં ગાતા ગાતા સમાજ-ક્ષેત્રમાં ભ્રમણ કરતા રહે છે. દરેક ઉતારે સવારે ભાંગ-ફળાહાર-પ્રસાદ-ઉપવાસનું અયોજન થાય છે.
શિવરાત્રીની રાત્રે ૧૦ કલાકે જટાધારી, ભભુતધારી, દિગંબર, અતિપુરાતન સાધુઓ તો કોઇ ઉગતી અવસ્‍થાવાળા વડવાઇ જેવી પગની ધુટી સુધીની પીળી જટા ને લાલઘુમ આંખોવાળા સાધુઓ સન્યાસીઓ, સાધ્‍વીઓ, દેવીજીઓ અને નાની બાલ્‍યાવસ્‍થા વાળા મહાત્‍માઓ, સંતો, મહંતો હર હર મહાદેવ, બમ બમ ભોલે, ઓમ નમઃશિવાયનાં જયઘોષ સાથે વિશાળ સરઘસ ભવનાથ મહાદેવનાં મંદિર પાછળ આવેલા દશનામી પંચ અખાડામાંથી ભવ્ય શંખઘોષ, ડમરૂ, નાગફણી-ભેરીફુંકતા ભાલા તલવારો, ઢાલની પટૃાબાજી ખેલતા લાઠીનાં અને અંગકસરતનાં હેરતભર્યા પ્રયોગો કરતા નિશાન, ડંકા ઝાલર અને ધ્‍વજાઓ અને પાલખીઓ સાથે આગળ વધે છે. ભવનાથનાં નિયત કરેલા મેઇન રોડ પર ફરે છે.અખાડાનાં સાધુઓનું પર્વકાળમાં પવિત્ર સ્‍નાન (શાહી સ્‍નાન) મહાશિવરાત્રીનાં પર્વનાં દિવસે વિવિધ અખાડાઓનાં સાધુ સંતો દ્વારા નિશ્‍વિત કરવામાં આવેલા ક્રમ અનુસાર પોતાનાં અખાડાનાં સંતો સાથે કરવામાં આવતા સ્‍નાનને પવિત્ર સ્‍નાન ( શાહી સ્‍નાન) કહે છે. રવાડી(સરઘસ)માં દશનામી પંચ અખાડાની ગુરૂદત્‍તાત્રેય પાલખી,અભાન અખાડાનાં ગાદીપતીની પાલખી,અગ્ની અખાડાની ગાયત્રીજીની પાલખી સાથે સાથે જુદા જુદા અખાડાઓના સાધુ આગળ વધે છે.સાધુ સંતોની યાત્રાનાં પથ પર બપોરથી જ માર્ગની બન્ને બાજુ વિશાળ જનમેદની એકત્રિત થાય છે.વિવિધ વાજીંત્રો અને હરહર મહાદેવ, બમ-બમ ભોલે નાદ સાથે શરીર પર ભસ્‍મ ચોપડીને હજારો સાધુ સંતો ગળામાં ફુલોનાં હાર,હાથમાં ધ્વજદંડ લે છે. શરીરે ભસ્‍મ લગાડવાથી અમાનવીય આકૃતિ દેખાતા હજારો દિગંબર (નાગા)સાધુ સંતો હરહર મહાદેવનો જયઘોષ કરે ત્‍યારે એમ લાગે કે જાણે કૈલાશીય જીવંત દ્રશ્ય નજરે નિહાળીએ છીએ. નાગા શબ્દ આમ તો નગ (પર્વત) પરથી અવતરીત થયો હોય કેમ કે ગિરનારની પર્વતીય કંદરાઓમાં સાધના કરતા તપસ્વી મહાત્મા સંતો શિવરાત્રીની મધ્યરાત્રીએ ભગવાન શિવની સાક્ષીએ મૃગીકુંડમાં સ્નાન કરવા પધારતા હોવાની વાત દંતકથા રૂપ કર્ણોપકર્ણ સંભળાતી હોય છે. આમ મધરાત્રે ભવનાથનાં મંદિરનાં દ્વિતીય દરવાજેથી શાહી સવારી મૃગીકુંડમાં પહોંચે છે. લોકમાન્‍યતા પ્રમાણે ગોપનીય વિધી સાથે મૃગીકુંડમાં કાંઠે ઉભી સાધુઓ વરૂણપુજા કરે છે. અહીં અમર આત્‍માઓ સ્‍નાન કરવા પધારે છે. તેની પ્રતિતીરૂપે ત્રણ તરંગો સ્‍વંયભુ કુંડમાંથી પ્રગટે છે. ત્‍યારબાદ સાધુઓ એકી સાથે મૃગીકુંડમાં સ્‍નાન કરે છે. મૃગીકુંડમાંથી બહાર નિકળી થોડા જ સમયમાં મેળામાંથી અદ્રશ્‍ય થઇ જાય છે. સાધુઓનાં મૃગીકુંડનાં સ્‍નાન પછી મંદિરમાં આરતી ને મહાપુજા થાય છે. ને મેળાની પુર્ણાહુતી થાય છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)