ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫ -વૉટરપ્રૂફ ડોમની સુવિધાનો યાત્રિકો લઈ રહ્યા છે લાભ, તંત્રની પ્રશંસા.

અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન હજારો યાત્રાળુઓ દર વર્ષે પદયાત્રા કરી અંબાજી ધામે પહોંચે છે. યાત્રાળુઓની સુવિધા અને આરામ માટે તંત્ર દ્વારા આ વર્ષે નવી પહેલ કરવામાં આવી છે. ચાર અલગ-અલગ સ્થળોએ અદ્યતન સુવિધાઓથી સજ્જ વૉટરપ્રૂફ ડોમ ઉભા કરવામાં આવ્યા છે. આ વ્યવસ્થાને કારણે યાત્રિકોમાં આનંદ અને સંતોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

દાંતાથી અંબાજી આવતા માર્ગ પર પાન્છા ખોડીયાર-બ્રહ્માની માર્બલ સામે વીર મહારાજ પાસેની ખુલ્લી જગ્યા, હડાદ માર્ગ પર કામાક્ષી મંદિર સામે, જૂની કોલેજ ખાતે તથા માંગલ્ય વનના પાછળના ભાગે કુલ ચાર સ્થળોએ આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

દરેક ડોમમાં અંદાજે ૧૨૦૦ યાત્રાળુઓ એકસાથે રોકાઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં મલ્ટી પર્પઝ ડોમ, આરામદાયક બેડ, સ્વચ્છ શૌચાલય, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, CCTV કેમેરા, ફ્લોર કાર્પેટ, હાઉસકીપિંગ સર્વિસ, સાઈનેજિસ, પીવાના પાણીની વ્યવસ્થા, અગ્નિશામક સાધનો, ફ્લૅગ પોલ તથા સમાન મુકવાની સુવિધા સહિત આધુનિક વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે.

આ સાથે દરેક ડોમમાં મેડિકલ સેન્ટર તથા પોલીસ કંટ્રોલ રૂમ પણ કાર્યરત રાખવામાં આવ્યા છે, જેથી તાત્કાલિક સારવાર તેમજ સુરક્ષા માટે કોઈ ખોટ ન રહે. યાત્રાળુઓને આરામ સાથે સાથે સુરક્ષા અને સ્વચ્છતાનું પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

આજના પ્રથમ દિવસે જ હજારો યાત્રાળુઓએ આ ડોમમાં રોકાઈ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. વિનામૂલ્યે આપવામાં આવતી આ સુવિધાનો લાભ લઈ લોકો નિરાંતે આરામ કરી રહ્યા છે. દૂર દૂરથી આવેલા પદયાત્રીઓ માટે આ વ્યવસ્થા આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે.