ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબહેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘લખપતિ દીદી’ કાર્યક્રમ યોજાયો હતો.

ભાવનગર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબહેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને આજે ભાવનગરના સરદારનગર ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ હોલ ખાતે ‘લખપતિ દીદી’ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ‘લખપતિ દીદી’ ને સર્ટિફીકીટ વિતરણ, મોમેન્ટો, સ્વસહાય જૂથોને રીવોલ્વીંગ ફંડ, સ્વસહાય જૂથોને સ્ટાર્ટઅપ ફંડ ગ્રામ સંગઠનને સ્ટાર્ટઅપ ફંડ અને કલસ્ટર લેવલ ફેડરેશનને સ્ટાર્ટઅપ ફંડ તથા કલસ્ટર લેવલ ફેડરેશનને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ફાળવણીના મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબહેન બાંભણીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત દેશે અનેકવિધ ક્ષેત્રોમાં વિકાસના નવા આયામો સર કર્યાં છે જેની નોંધ વિશ્વના લોકોએ પણ લીધી છે. તેમણે કહ્યું કે, મહિલાઓ સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર બને તે માટે આપણા વડાપ્રધાનશ્રીએ સંકલ્પ કર્યો છે કે, આગામી સમયમાં દેશની ત્રણ હજાર મહિલાઓને ‘લખપતિ દીદી’ બનાવવાશે તેમજ ત્રણ હજાર ગરીબ લોકોને આવાસ પુરા પાડવામાં આવશે. ‘સૌનો સાથ, સૌના વિકાસના’ મંત્રને સરકારે ખરા અર્થમાં સાર્થક કર્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મહિલાઓના ઉત્થાન માટે સરકારશ્રીની અનેકવિધ યોજનાઓ અમલમાં છે ત્યારે તેનો લાભ લેવા અનુરોધ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, મહિલાઓ આર્થિક રીતે સશક્ત બને તે માટે વગર વ્યાજની લોન પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. કૌશલ્ય અને હુન્નર થકી સખી મંડળની મહિલાઓ સારી આવક મેળવી આર્થિક રીતે સદ્ધર બની છે. જેનાથી તે પોતાના બાળકોને ઉત્તમ શિક્ષણ પણ આપી શકશે.

મંત્રીશ્રીએ કહ્યું કે, હું પણ તમારા જેવી જ એક સામાન્ય મહિલા છું. મેં પણ સખત મહેનત અને પરિશ્રમ કર્યો છે પરંતુ આગળ વધાવાના મક્કમ નિર્ધાર સાથે કરેલા પ્રયાસોને પરિણામે આજે કેન્દ્ર સરકારમાં આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કામ કરવાનો અવસર મળ્યો છે.

આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબહેન જરૂએ કહ્યું કે, ભાવનગર જિલ્લામાં ૫ હજાર જેટલી મહિલાઓ સખી મંડળ સાથે જોડાયેલી છે. ગત વર્ષે ૨૮૦૦ થી વધુ મહિલાઓને કેશ ક્રેડિટ બેંક મારફતે લોન આપવામાં આવી હતી. ચાલુ વર્ષે ૩ હજાર જેટલી મહિલાઓને કેશ ક્રેડિટ બેંક મારફતે લોન પુરી પડાશે તેમ જણાવી સરકારશ્રીની વિવિધ યોજના અંગે માહિતી પુરી પાડી હતી.

મોટીવેશન સ્પીકર શ્રીમતી નેહલબેન ગઢવીએ મહિલા ઉત્કર્ષ, મહિલા સશક્તિકરણ અંગેના પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યાં હતાં. આ અવસરે ‘લખપતિ દીદી’ઓ સર્વશ્રી પારૂલબેન દવે, અવનીબહેન ગોહિલ, કાજલબેન અને શાતુબહેન ચૌહાણે પોતાની સાફલ્યગાથા રજૂ કરી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘લખપતિ દીદી’ના કાર્યક્રમને વર્ચ્યુઅલી નિહાળ્યો હતો.

આ પ્રસંગે ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય સેજલબહેન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી અને ઈ. ચા. કલેકટર જી. એચ. સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)