ભુજમાં વિશ્વનું સૌથી વિશાળ મિયાવાકી વન: ‘ફોરેસ્ટ બાથ’ નું નવું ગ્લોબલ હેલ્થ હબ

કચ્છની રણમાટીમાંથી હરિયાળું ક્રાંતિકારક ચમત્કાર સર્જાતો આવ્યો છે. વિશ્વનું સૌથી વિશાળ મિયાવાકી જંગલ હવે કચ્છના ભુજમાં ભુજીયા ડુંગરની ગોદમાં વ્યાપી ચૂક્યું છે. ૧૧૭ પ્રકારના ૪ લાખથી વધુ વૃક્ષો ધરાવતું આ જંગલ હવે માત્ર હરિયાળીનું નહીં, પરંતુ માનસિક શાંતિ અને આરોગ્ય માટેનું એક આંતરરાષ્ટ્રીય ‘ફોરેસ્ટ બાથ’ હબ બની ગયું છે.

જાપાનમાં ૧૯૮૦થી લોકપ્રિય બનેલી ફોરેસ્ટ બાથ થેરાપી (Shinrin-Yoku) હવે કચ્છમાં પણ અનુભવવી શક્ય બની છે. આ જંગલમાં ઊંડા શ્વાસ લેતા લેતા વૃક્ષો વચ્ચે શાંતિથી ચાલવાનું મન અને શરીરને નવી ઊર્જા આપે છે.

મિયાવાકી પદ્ધતિથી તૈયાર થયેલું આ વન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વિકાસના વિઝન અંતર્ગત ઉભું થયું છે. ભૂતપૂર્વ ભૂકંપપીડિત વિસ્તારોમાં હવે ઘન જંગલનું રૂપ લેનાર આ વન ‘સ્મૃતિવન’ ના શાંતીમય વાતાવરણ સાથે સમાનાંતર બનેલું છે. ૨૦૨૧થી ૨૦૨૩ દરમ્યાન પ્રથમ ફેઝમાં સરકાર અને ખાનગી સહકારથી અહીં ૫ લાખથી વધુ વૃક્ષો રોપાયા છે અને આગળના બે ફેઝમાં કુલ ૪૦ લાખ વૃક્ષો થકી જંગલ વિસ્તૃત બનવાનું છે.

વિશેષ વાત એ છે કે અહીં ફળદ્રુપ, ઔષધીય, સુંદર અને રક્ષણાત્મક વૃક્ષોનો સમાવેશ થાય છે – જેમ કે પિપળો, રૂદ્રાક્ષ, બામ્બુ, જામુંન, પલાશ, નાગચંપા, સરગવો, મેંગો, મહોંગની, અમળા, સેતુર અને અનેક ઔષધીય વૃક્ષો.

આ વનમાં તૈયાર કરાયેલો ૮ કિમીનો નેચરલ વોકવે હવે મોર્નિંગ અને ઇવનીંગ વોક માટે લોકપ્રિય બન્યો છે. અહીંના ૫૦ ચેકડેમ વરસાદનું પાણી સંગ્રહે છે, જેમાં કુદરતી માછલી અને કાચબા પણ જોવા મળે છે – જે પ્રકૃતિના સંપૂર્ણ ઈકો સિસ્ટમને જીવંત બનાવે છે.

ડૉ. આર.કે. નૈયર જણાવે છે કે, આ વનના કારણે આસપાસના તાપમાનમાં ૬ થી ૭ ડીગ્રી ઘટાડો જોવા મળ્યો છે. ડોકટરો માસમાં એકવાર ફોરેસ્ટ બાથ લેવા સલાહ આપે છે. કચ્છના વાસીઓને હવે માટે આ જીવનશૈલીનો ભાગ બની રહ્યો છે.

આ વન હવે ગ્લોબલ વેલનેસ ટુરિઝમ માટે નવી દિશા નિર્ધારિત કરી રહ્યું છે. પ્રકૃતિપ્રેમી, યોગ સાધક, પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ માટે આ સ્થળ એક જીવંત પરીક્ષણશાળા સમાન બની ગયું છે.


📌 ટૂંકમાં:

  • વિશ્વનું સૌથી મોટું મિયાવાકી વન
  • ૧૧૭ પ્રકારના ૪ લાખથી વધુ વૃક્ષો
  • ૮ કિમી લાંબો નેચરલ વોકવે
  • તાપમાનમાં ઘટાડો, તણાવ મુક્તિ અને સ્વાસ્થ્ય લાભ
  • કચ્છનું ગૌરવપૂર્ણ વૈશ્વિક આકર્ષણ

અહેવાલ :- નિલેશ ભટ્ટ, ભુજ