મત ગણતરી માટેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા.

જૂનાગઢઃ

જૂનાગઢ ૧૩-જૂનાગઢ લોકસભા બેઠકની મત ગણતરી તા.૪-૬-૨૦૨૪ ના રોજ થવાની છે, ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયાએ આજે મતગણતરી માટેની જરૂરી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેની કૃષિ અને ઇજનેરી મહાવિદ્યાલય ખાતે જૂનાગઢ લોકસભા બેઠક હેઠળના ૭ વિધાનસભા મતક્ષેત્રની મતગણતરી કરવામાં આવશે. આ માટે નિયત ટેબલ સહિત અન્ય વ્યવસ્થાઓ ગોઠવવા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. ઉપરાંત સુરક્ષા, પાર્કિંગ સહિતની વ્યવસ્થા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ઉના, તાલાળા, કોડીનાર, સોમનાથ અને માંગરોળના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

તેમની પાસેથી પણ કલેકટરશ્રીએ મત ગણતરી માટેની પૂર્વ તૈયારીઓની વિગતો મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, મત ગણતરીમાં રોકાયેલા સ્ટાફને જરૂરી તાલીમ પણ આપવામાં આવે છે. જેથી મત ગણતરી માટેની નિયત પ્રક્રિયા સુચારુ રીતે અનુસરી શકાય. કલેક્ટરશ્રીએ ભારે ગરમીને ધ્યાનમાં રાખી મત ગણતરી કેન્દ્ર ખાતે આરોગ્ય ટીમ ORS સહિત જરૂરી દવાઓ સાથે ફરજરત રહે તે માટે નિર્દેશ આપ્યા હતા.

આ સાથે ૧૦૮ની સેવાઓ મળી રહે તે માટે એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવા માટે પણ સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટર શ્રી એન.એફ. ચૌધરી, ગીર સોમનાથ જિલ્લાના આર.એ.સી શ્રી બાટી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હર્ષ પટેલ, પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, કીર્તનબેન રાઠોડ સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)