
મહાનગરપાલિકા,જુનાગઢ દ્વારા પ્રજાસતાક દિવસ નિમિતે તા.૨૬/૦૧/૨૦૨૫ રવિવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકે મહાનગરપાલિકા કચેરી,આઝાદ ચોક ખાતે માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશના વરદ હસ્તે મહાનુભવોની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. આ તકે શહેરના તમામ વોર્ડમાં શ્રેષ્ઠ સફાઈની કામગીરી કરનાર સફાઈ કર્મચારીશ્રીઓને પ્રોત્સાહન આપવા માટે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.
૭૬માં પ્રજાસતાક દિન નિમિતે માન.કમિશનરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે, વર્ષ: ૧૯૪૦ થી વર્ષ :૧૯૫૦ સુધીમાં અનેક દેશ આઝાદ થયા હતા પરંતુ ભારત દેશમાં દેશવાસીઓ દ્વારા સંપૂર્ણ લોકશાહી સ્વીકારવા અને અસરકારક અમલીકરણના લીધે લોકોની સુખ સમૃદ્ધિમાં વધારો થયો છે. શહેરમાં અનેક વિકાસકાર્યો અને યોજનાઓ પ્રગતિશીલ છે.જેમાં મહાનગરપાલિકા, જૂનાગઢ છેલ્લા ઘણા સમયથી લોકોની મૂળભૂત અને પાયાની જરૂરિયાત સંતોષવા માટે કાર્યરત છે.જેમાં શહેરમાં રખડતા ભટકતા પશુઓનો ત્રાસ મહત્તમ અંશે નિવારવામાં આવ્યો છે.તેમજ શહેરમાં સારી આબોહવા માટે સિટી બ્યુટિફિકેશન અંતર્ગત શહેરને રળિયામણું બનાવવામાં આવ્યું છે.
તેમજ આરોગ્યલક્ષી સુખાકારી માટે મહાનગરપાલિકા,જૂનાગઢ દ્વારા શહેરીજનોને ભીના અને સૂકા કચરાનું વર્ગીકરણ કરી ડોર ટુ ડોર વાહન દ્વારા આપવા માટે અપીલ કરવામાં આવી હતી જેનો શહેરીજનોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે.જ્યારે નરસિંહ મહેતા સરોવરનું બ્યૂટી ફિકેશન હાલ પ્રગતિમાં છે.આવનારા દિવસોમાં વાઘેશ્વરી તળાવ અને વિલીંગ્ડન ડેમ ને પણ સુંદર અને રમણીય બનાવી શહેરીજનોને ભેટ સ્વરૂપે આપવામાં આવશે.
જ્યારે વર્ષ ૨૦૨૫ ના અંત સુધીમાં શહેરીજનોએ પાયાની જરૂરિયાત માટે મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે મહાનગરપાલિકા,જૂનાગઢ સતત કાર્યશીલ છે. આગામી દિવસોમાં શહેરીજનોની સુખાકારી માટે જી.આઇ.એસ.મેપિંગની મદદથી વધુ સારી રીતે સુવિધાઓ આપવામાં આવશે.જેમાં સૌ શહેરીજનોને સહયોગ આપવા માટે માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશ દ્વારા અપીલ કરવામાં આવી હતી.
અંતે સૌ શહેરીજનો અને અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.આ તકે પૂર્વ મેયરશ્રી ગીતાબેન મોહનભાઈ પરમાર,નાયબ કમિશનરશ્રી એ.એસ.ઝાંપડા તથા ડી.જે.જાડેજા,આસિ.કમિશનરશ્રી જયેશભાઈ પી.વાજા, આસિ.કમિશનરશ્રી કલ્પેશભાઈ જી ટોલિયા,સિનિયર ટાઉન પ્લાનરશ્રી વી.કે.પારેખ, એમ.ઓ.એચ.શ્રી સ્વયં પ્રકાશ પાંડે, ફાયર ઓફિસરશ્રી દીપકભાઈ જાની,પ્રોગ્રામ ડિઝાસ્ટરશ્રી યકીન ભાઈ શિવાણી,સ્ટોરકિપરશ્રી રાજેશભાઈ મહેતા,ઓફિસ સુપ્રિ.શ્રી જીગ્નેશભાઈ પરમાર, હાઉસ ટેક્ષ સુપ્રિ.શ્રી વિરલભાઈ જોષી,લીગલ ઓફિસર શ્રી હિતેશભાઈ કારીયા વગેરે મહાનગરપાલિકા,જૂનાગઢના શાખાધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ, સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડરશ્રી અમુદાનભાઈ ગઢવી,પોલીસ જવાનો,ફાયર સ્ટાફ,સફાઈ યુનિયન પ્રમુખશ્રી દિનેશભાઈ ચુડાસમા, વાલ્મીકિ સમાજ પ્રમુખશ્રી વિજયભાઈ વાળા, ગુરુકુળ જ્ઞાન બાગના વિધાર્થીઓ, જુનાગઢ શહેરના આગેવાનશ્રીઓ, શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)