મહાશિવરાત્રી મેળો-૨૦૨૫ ફાયર અને ઇમરજન્સી સર્વિસીઝ માટે ૬ ટીમ તૈયાર.

જૂનાગઢ તા.૨૧- જૂનાગઢના ભવનાથ ખાતે આવતીકાલે તા.૨૨થી તા.૨૬ ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રી નિમિત્તે મેળો યોજાશે. આ મેળાને અનુલક્ષીને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે મેળામાં ફાયર અને ઇમર્જન્સી સર્વિસીઝ માટે કુલ છ જગ્યાએ ફાયર પોઇન્ટ નક્કી કરાયા છે. આ ઉપરાંત પાણીના જોખમી સ્થળોએ તરવૈયાઓની ટુકડી કાર્યરત રહેશે. તથા મેળા દરમિયાન ટ્રાફિકમાં દર્દીને સુરક્ષિત અને ઝડપી હોસ્પિટલે ખસેડી શકાય તે માટે એક મોબાઈલ બુલેટ બાઈક તથા ૨૪ કલાક માટે એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે,

પાણીના જોખમી સ્થળોએ તરવૈયાઓની ટુકડી કાર્યરત રહેશે,

કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસીયા તથા મ્યુનિસિપલ કમિશનરશ્રી ઓમ પ્રકાશના માર્ગદર્શનમાં ફાયર વિભાગ દ્વારા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ પૂરી પાડવામા આવશે. જેમા ઝોનલ ઓફિસ ભવનાથ પાસે, ભવનાથ રીંગરોડ પાસે, ભવનાથ પોલીસ સ્ટેશન પાસે તથા ભવનાથ તાલુકા અને જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસની બાજુમાં એમ કુલ ચાર ફાયર પોઇન્ટ પર ફાયર ફાઈટર કાર્યરત રહેશે, તથા સુદર્શન તળાવ અને દામોદર કુંડ ખાતે રેસ્ક્યુ પોઇન્ટ નક્કી કરાયા છે. મેળામા કોઈ અણબનાવ બને તો તેને પહોચી વળવા ફાયર ફાઈટરની ટીમ ૨૪ કલાક કાર્યરત રહેશે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા પાણીના જોખમી સ્થળો પર તરવૈયાની ટીમ ફરજ બજાવશે. જેમાં સુદર્શન તળાવ, દામોદર કુંડ તથા મૃગીકુંડ ખાતે તરવૈયાની ટીમ ફરજ બજાવશે તેમ મુખ્ય ફાયર ઓફિસરશ્રી દીપકભાઈ જાનીએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભવનાથના સાનિધ્યમાં દર વર્ષે મહાશિવરાત્રી નિમિત્તે યોજાતા મેળામાં લાખોની સંખ્યામાં સ્વયંભૂ શ્રદ્ધાળુઓ પધારતા હોય, ત્યારે આ મેળામા શ્રદ્ધાળુઓને પ્રાથમિક તમામ જરૂરિયાતો પૂરી પાડવા વહીવટી તંત્ર કટિબદ્ધ છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)