માંગરોળ તાલુકામાં રીસરફેસિંગ કામગીરી દરમિયાન વાહનવ્યવહાર માટે વૈકલ્પિક રૂટ જાહેર કરાયો!

જૂનાગઢ, તા. 02 : હાલમાં માંગરોળ તાલુકાને જોડતા ચોટલીવીરડી- સકરાણા- જુથળ રોડની રીસરફેસિંગ કામગીરી ચાલી રહી છે. માંગરોળ વિસ્તારને જોડતો આ રસ્તો અતિ મહત્વપૂર્ણ છે.
તેથી આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવા, જાહેર સલામતી જાળવી રાખવાના હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.એફ.ચૌધરી, જૂનાગઢ દ્વારા આગામી તારીખ ૧૦-૦૪-૨૦૨૫ સુધી વૈકલ્પિક રસ્તા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જેમાં જણાવ્યા અનુસાર માંગરોળ તરફ આવતા વાહનો માટે રામવાવના પાટીયા- ભંડુરી- શેરીયાખાણ- શેપા- હુસેનાબાદ- માંગરોળનો રસ્તો કાર્યરત રહેશે, તેમજ ભારે વાહનો માટે રામવાવના પાટીયા- ગડુ- કુકસવાડા- માંગરોળનો રસ્તો કાર્યરત રહેશે.
આ ઉપરાંત માંગરોળથી રામવાવના પાટીયા જવા માટે ઢેલાણા- ચોટલીવીરડી ફાટક- સકસણા-જુથળ- રામવાવના પાટીયાનો રસ્તો કાર્યરત રહેશે. ઉક્ત જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ મુજબ શિક્ષાને પાત્ર બનશે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ