માળીયા – ગુજરાત યોગ બોર્ડ દ્વારા તાલુકા પે સેન્ટર ખાતે બાળકો માટે નિઃશુલ્ક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેરમેન શ્રી શીશપાલજીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કેમ્પમાં 100થી વધુ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કેમ્પ દરમિયાન યોગ કોચ અને ટ્રેનર્સ દ્વારા બાળકોને યોગાસન, પ્રાણાયામ, ધ્યાન, સૂક્ષ્મ વ્યાયામ, સૂર્યનમસ્કાર જેવી યોગ ક્રિયાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, બાળમિત્રો માટે ગીતાજીના શ્લોકો, પ્રાર્થના અને સંસ્કાર શિક્ષણ દ્વારા આંતરિક વિકાસ પર પણ ભાર મુકવામાં આવ્યો હતો.
કેમ્પમાં ભાગ લેનારા તમામ બાળકોને બે પુસ્તકો આપવામાં આવ્યા – એક યોગાસન પર આધારિત પુસ્તિકા અને બીજી રંગબેરંગી ચિત્ર પોથી. કેમ્પના અંતે દરેક બાળકને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું, જેના કારણે બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ કેમ્પને સફળ બનાવવા માટે યોગ કોચ દક્ષાબેન ચાવડા, કૃપાબેન, વિભાબેન અને જૂનાગઢ જિલ્લા યોગ કોચ ચેતનાબેન ગજેરાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમના માર્ગદર્શન હેઠળ સમગ્ર કેમ્પ સરળતાથી સંપન્ન થયો.
આ તકે માળીયાના સરપંચ શ્રી જીતુ સિસોદિયા સહિત ગ્રામ પંચાયતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આયોજનની પ્રશંસા કરી હતી.
ચેતના ગજેરા, જિલ્લા યોગ કોચ (જૂનાગઢ) એ જણાવ્યું કે –
“યોગ થકી બાળકોનું સ્વાસ્થ્ય સુદ્રઢ બને છે અને સંસ્કારસભર પેઢી તૈયાર થાય છે. ગુજરાત યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં આવા કેમ્પના માધ્યમથી સુંદર કાર્ય થાઈ રહ્યું છે.”
રિપોર્ટર: પ્રતાપ સિસોદિયા
સ્થળ: માળીયા