મોરબીમાં સફાઈ કામદારના ધો.૧૦ અને ૧૨ માં ઉતીર્ણ થયેલા બાળકોને ઈનામ આપવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવાઈ.

મોરબી

મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજ્યના સફાઈ કામદારો અને તેમનાં આશ્રિત બાળકોમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨માં વર્ષ – ૨૦૨૪ માં ઉત્તીર્ણ થયેલા બાળકોને ઈનામ અને પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા ૧૫ જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર (ગુજરાત સરકારનું જાહેર સાહસ) દ્વારા ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨માં વર્ષ – ૨૦૨૪ માં સમગ્ર રાજ્યનાં સફાઈ કામદારો અને તેમનાં આશ્રિત બાળકોમાં ઉત્તીર્ણ થયેલા બાળકોને ઈનામ અને પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની યોજના અમલમાં છે. આ યોજના હેઠળ વર્ષ- ૨૦૨૪ માં ધોરણ ૧૦માં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને અનુક્રમે રૂI.૪૧,૦૦૦/-, રૂI.૨૧૦૦૦/- અને રૂI.૧૧,૦૦૦/- ઉપરાંત ધોરણ ૧૨માં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને અનુક્રમે રૂI.૩૧,૦૦૦/-, રૂI.૨૧,૦૦૦/- અને રૂI.૧૧,૦૦૦/- રોકડ ઈનામ તરીકે નિગમ દ્વારા આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે કોઈ આવક મર્યાદા નથી.

આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ માત્ર સફાઈ કર્મચારીના આશ્રિત હોવા અંગેનું સમક્ષ અધિકારીનું પ્રમાણપત્ર તેમજ માર્કશીટની નકલ રજૂ કરવાની રહેશે. મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા વ્યક્તિઓએ તારીખ ૧૫/૦૭/૨૦૨૪ સુધીમાં નિગમની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર જરૂરી સાધનીક કાગળો અપલોડ કરી ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે વેબસાઈટની મુલાકાત લેવા અથવા કચેરી સમય દરમિયાન જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક (અ.જા.ક), કચેરી નં.૪૬/૪૭, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી ખાતે કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

અહેવાલ:- કિરીટ પટેલ (મોરબી)