યોગથી મેદસ્વિતા સામે મુક્તિ અને શારીરિક તંદુરસ્તી શીખતાં બાળક

વેરાવળમાં સમર યોગ કેમ્પમાં યોગ, સેલ્ફ ડિફેન્સ સહિતની પ્રવૃત્તિઓથી કેળવણી અપાઈ

વેરાવળ: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગીર સોમનાથ દ્વારા ૧૬થી ૩૦ મે દરમિયાન વેરાવળમાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન હેઠળ સમર યોગ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ૭થી ૧૫ વર્ષના બાળકોને યોગાસન, પ્રાણાયામ, ધ્યાન અને મંત્રોના માધ્યમથી મેદસ્વિતા સામે મુકિતો મેળવવાના તથા શારીરિક તંદુરસ્તી કેળવવાના પાઠ શિખવાયા.

આજના સમયમાં વધતા બેઠાડા જીવનશૈલી અને મોબાઈલ ઉપયોગના વધારા સાથે બાળકોમાં મેદસ્વિતાના પ્રમાણમાં વધારો થતો હોવાથી, તેઓને શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે યોગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. કબૂલ ભગત સાહેબ મંદિર, હુડકો સોસાયટી, પ્રકાશ કોમ્પલેક્સ સરસ્વતી વિદ્યાલય અને ડાભોર રોડના દેવકા ગાર્ડન ખાતે સવારે ૭ થી ૯ વાગ્યા સુધી તાલીમ આપવામાં આવી હતી.

આ કેમ્પમાં યોગાસન, ધ્યાન, પ્રાણાયામ સાથે સાથે સેલ્ફ ડિફેન્સ જેવી પ્રવૃત્તિઓ પણ શીખવાડવામાં આવી હતી. બાળકોને પૌષ્ટિક નાસ્તો તેમજ પૌષ્ટિક આહાર અને આરોગ્ય સંબંધિત માહિતી પણ આપવામાં આવી, જેથી તેઓ શારીરિક અને માનસિક રીતે મજબૂત બને.

કેમ્પના અંતે તમામ બાળકોને યોગ સંબંધિત માહિતીપુસ્તિકા અને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા, જેથી તેઓ ઘરમાં નિયમિત યોગાભ્યાસ ચાલુ રાખી શકે.

અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ