રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે, શૈક્ષણિક વિકાસમાં નવી દિશા અપાવતો પગથિયો

ગાંધીનગર: શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન આગામી તા. ૨૬ થી ૨૮ જૂન, ૨૦૨૫ દરમિયાન રાજ્યભરમાં કરવામાં આવશે. આ અંગેની માહિતી રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માટે અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી તા. ૨૬ જૂને મહીસાગર, ૨૭ જૂને ગાંધીનગર અને ૨૮ જૂને કચ્છ જિલ્લામાં પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. રાજ્યભરના કુલ ૪૦૦ જેટલા ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ પણ શાળાઓમાં હાજર રહી બાળકોને પ્રવેશ કરાવશે.

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, શાળા પ્રવેશોત્સવના સતત સફળ અમલથી રાજ્યમાં બાળકોના શાળામાં નામાંકનનો દર નોંધપાત્ર રીતે વધ્યો છે, જ્યારે ડ્રોપઆઉટ દર નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવ્યો છે. વર્ષ ૨૦૦૧-૦૨માં ધોરણ-૧ થી ૫માં ૨૦.૫૦% ડ્રોપઆઉટ દર હતો, જે આજે ઘટીને ૧.૦૭% થયો છે, તેમજ ધોરણ-૧ થી ૮માં હવે માત્ર ૨.૪૨% રહ્યો છે.

આ વર્ષે શાળા પ્રવેશોત્સવમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પર પણ વિશેષ ભાર મુકવામાં આવ્યો છે, જેથી વધતી ઉંમરના બાળકો પણ શાળાઓમાં જોડાઈ શકે અને તેમનો શિક્ષણ માર્ગ સતત ચાલતો રહે.

પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-૧, ધોરણ-૯ અને ધોરણ-૧૧માં બાળકોને પ્રવેશ આપવામાં આવશે. સાથે જ, તમામ અધિકારીઓને મૈદાની મુલાકાત માટે શાળાઓ ફાળવી દેવામાં આવી છે.

પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમને આરોગ્ય વિભાગના જન્મ અને રસીકરણના ડેટા સાથે જોડવામાં આવી છે, જેથી એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. રાજ્યમાં લગભગ ૮.૭૫ લાખ બાલવાટિકા, ૧૦.૫૦ લાખ ધોરણ-૯ અને ૪.૫૦ લાખ ધોરણ-૧૧ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવાશે.

વધુમાં, Artificial Intelligence (AI)ની મદદથી વિદ્યા સમીક્ષા કેન્દ્રના ડેટાનું વિશ્લેષણ કરીને સંભવિત ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને ઓળખી તેમને શાળા પ્રવેશ માટે પ્રોત્સાહિત કરાશે.

👉 મુખ્ય મુદ્દા:
✔️ ૨૬ થી ૨૮ જૂન દરમિયાન રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ
✔️ મુખ્યમંત્રી સહિત ૪૦૦થી વધુ અધિકારીઓ statewide પ્રવેશોત્સવમાં હાજર રહેશે
✔️ ધોરણ-૧ થી ૮માં ડ્રોપઆઉટ દર ૩૭.૨૨% થી ઘટીને ૨.૪૨%
✔️ આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-૧, ૯ અને ૧૧માં પ્રવેશ માટે વિશેષ ધ્યાન
✔️ AI આધારિત ટ્રેકિંગથી સંભવિત ડ્રોપઆઉટ નિવારવાનો પ્રયાસ

📝 અહેવાલ: પ્રકાશ કારાણી – વેરાવળ, સોમનાથ