રોડ-રસ્તા,વીજળીને લગતી લોકસમસ્યાઓને ઝડપભેર ઉકેલવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા

સુરત:

સુરતના કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કામરેજ પ્રાંત કચેરી ખાતે તાલુકાના વિવિધ વિભાગીય અધિકારી-કર્મચારીઓ સાથે બેઠક યોજી રોડ-રસ્તા, દબાણ, સિંચાઈ, વીજળીને લગતી લોકસમસ્યાઓને ઝડપભેર ઉકેલવા સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મંત્રીશ્રીએ લોકોની પ્રાથમિક સમસ્યાઓ તાત્કાલિક ધોરણે ઉકેલવાની અધિકારીઓને તાકીદ કરી હતી.

મંત્રીશ્રીએ કામરેજ વિધાનસભાના વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે રોડ પર પડેલા ખાડાઓને યુદ્ધના ધોરણે પૂરવા, રસ્તા રિપેરિંગ કરવા તાકીદ કરી વાહનચાલકોને પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે રસ્તાઓને ઝડપભેર મરામત કરવાના કાર્યને અગ્રતાક્રમ આપવા જણાવ્યું હતું. રૂ.૭૦૦ કરોડના ખર્ચે પ્રગતિમાં રહેલા તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટના કારણે નહેર રોડ પર ઇન્ફ્રાસ્ટ્રકચરનું કાર્ય ચાલી રહ્યું હોવાથી ખાડાઓની સમસ્યા વધુ જોવા મળે છે, પરંતુ તેનું નિવારણ આગામી સપ્તાહ સુધીમાં થઈ જશે એમ તેમણે ઉમેર્યું હતું.

શિક્ષણમંત્રીએ લોકોના પ્રશ્નો-સમસ્યાઓને વાચા આપવી એ આપણી ફરજ છે, ત્યારે સંવેદનશીલ અભિગમ રાખી પ્રજાના પ્રશ્નોને ઝડપભેર નિવારવા જણાવ્યું હતું. શેરડી પકવતા ખેડૂતોની સિંચાઈની મુશ્કેલી નિવારવા સેવણી ડિવીઝનમાં વિજ પૂરવઠો આગામી ૨૪ કલાકમાં પૂર્વવત કરવા DGVCLના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)