રાજકોટથી સોમનાથ જતા વંદે ભારત ટ્રેનને જેતલસર અથવા નવાગઢ સ્ટેશન પર રોકવાની રજુઆત સામે આવી છે. જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ તથા ભાવનગર રેલવે વિભાગના સલાહકાર સમિતિના સભ્ય શ્રી જયંતિભાઈ રામોલિયાએ આ અંગે રેલવે અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી છે.
તેમણે વેસ્ટર્ન રેલવેના ભાવનગર ડિવિઝનને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે, જેતપુર એક ઉદ્યોગનગરી છે અને અહીંથી દેશના અનેક રાજ્યોમાંથી વેપારી, શ્રમિક અને પ્રવાસીઓ આવતા હોય છે. આ સિવાય, જેતપુર તથા તેની આસપાસના ત્રણ લાખથી વધુ નાગરિકો દર વર્ષે સોમનાથ દર્શન કરવા જતા હોય છે. પરંતુ હાલની વ્યવસ્થામાં રાજકોટ અને જૂનાગઢ વચ્ચે ચાલતી વંદે ભારત ટ્રેન કોઈપણ નિકટવર્તી સ્ટેશન પર નહીં અટકતા, જેતપુર અને આસપાસના નાગરિકોને મુસાફરીમાં તકલીફ પડે છે.
જંતિભાઈ રામોલિયાએ જણાવ્યુ હતું કે જો વંદે ભારત ટ્રેનને નવાગઢ કે જેતલસર સ્ટેશન પર સ્ટોપ આપવામાં આવે, તો સમગ્ર વિસ્તારના લોકોને સોમનાથ દર્શન કરવા તથા ઉદ્યોગ અને વેપારિક દૃષ્ટિએ પણ મોટી સહુલત મળશે.
આ રજુઆતને લઈ હવે રેલવે વિભાગ દ્વારા યોગ્ય પગલાં લેવાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
“જેતપુર એક ઉદ્યોગનગરી છે અને અહીંથી રોજબરોજ હજારો મુસાફરોનું આગમન-પ્રસ્થાન થાય છે. અમે માત્ર ધર્મપ્રેમીઓ માટે નહીં, પણ વ્યાપાર અને રોજગારથી જોડાયેલા લોકોને પણ અનુકૂળતા મળે તે માટે વંદે ભારત ટ્રેન માટે જેતલસર કે નવાગઢ સ્ટેશન પર સ્ટોપની માંગ કરી છે.”
– જયંતિ રામોલિયા, પ્રમુખ, ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન, જેતપુર