વન્યપ્રાણી દ્વારા માનવ ઇજાના બનાવો ધ્યાને લઇ ગીર પશ્વિમ વિભાગ જૂનાગઢ દ્વારા ઇજા અટકાવવા માટે માર્ગદર્શક સુચનાઓ બહાર પાડવામાં આવી છે.

જૂનાગઢ

માલઢોરને દેખરેખ હેઠળ જ ચરાવવા અને અસુરક્ષીત છોડવા નહી, મોડી સાંજે-અંધારામાં માલ ઢોરને નિરળ/પુળો કરવા કરતા દિવસ દરમિયાન અવી કામગીરીઓ પુરી પાડવી. રહેણાંકની આસપાસ ઉગી નીકળેલ બિલ જરૂરી ઝાડીઝાંખરા તથા અન્ય કુદરતી વનસ્પતિઓ દુર કરી વિસ્તારને ચોખ્ખો રાખવો તથા મરધા, કુતરા જેવા પાલતુ પ્રાણીઓ ઘરથી દુર રાખવા. માંસાહારના કિસ્સામાં બાદમાં વધેલા ખોરાક-હાડકા વગેરે ઘરની બહાર ન નાખવા, તેવા માંસાહારી ખોરાકથી વન્ય પ્રાણીઓ આકર્ષાય હુમલો કરી શકે છે.

ઘરની આસપાસ ની જગ્યાઓ રાત્રી દરમિયાન લાઇટથી પ્રકાશીત રાખવી. તથા રાત્રી દરમિયાન ઘરની ઓસરી કે ફળીયામાં સુવાનું ટાળી સુરક્ષીત જગ્યાએ સુવાનું રાખવું તથા વાડી વિસ્તારમા રહેતી મહિલાઓએ સેઢાપાળે- ખુલ્લામાં રાત્રીના સમયે સમી સાંજે ન્હાવા-કપડા ધોવા માથુ ધોવા બેસવુ નહી. રાત્રે કુદરતી હાજત માટે શૌચૈલયનો જ ઉપયોગ કરવો, રાત્રે વહેલી સવારે ખુલ્લામાં ક્યારેય પણ ખુણેખાચરે શૌચ ક્રિયા કરવા બેઠવું નહી, આવા કિસ્સામાં વન્યપ્રાણીના હુમલાઓની શક્યતાઓ વધી જાય છે. વાડી વિસ્તારમાં બાળકોને એકલા ન મુકવા. સાંજના સમયે શાળાએથી ઘરે આવતા બાળકોને નિર્જન રસ્તા પર ક્યારેય એકલા મુકવા નહીં. રાત્રીના સમયે જંગલ વિસ્તાર ની આસપાસની વાડીમાં એકલા જવુ નહી.

બે થી ત્રણ વ્યક્તિએ સાથે સમુહમાં જ જવાનો આગ્રહ રાખવો. તથા ટોર્ચ અને લાકડી સાથે રાખવી. જો નાછુટકે એકલા જવુ પડે તો જતી વખતે અવાજ કરવો વાતો કરવી, ઘોંઘાટ કરવો તેમજ બતી ચાલુ રાખી ને ચાલવુ. રાત્રીના સમયે ખેતરમાં ખુલ્લામાં સુવુ નહી તથા માંચાણ પર સુતી વખતે આજુબાજુમાં તાંપણુ ચાલુ રાખવું.

જો તમારી આસપાસ અચાનક કોઇ વન્યપ્રાણી આવી જાય તો ગભરાઇને દોડધામ કરવી નહીં, અને પરિવારજનો અને મિત્રોને સુરક્ષીત જગ્યાએ રાખ્યા બાદ સત્વરે વન વિભાગને જાણ કરવી. રહેણાંક વિસ્તારની નજીક મરેલા માલ-ઢોર નાખવા નહી. આપના ગામમાં આવી કોઇ જગ્યા હોઇ તો લાગુ પંચાયત દ્વારા ચોખ્ખાઇ કરાવવી. તેમજ વન્યપ્રાણીઓને લગતા કોઇ પણ પ્રશ્નો હોઇ તો ગામના સરપંચ દ્વારા વનરક્ષક-ફોરેસ્ટરને જાણ કરવી. તેમ નાયબ વન રક્ષક ગીર પશ્વિમ વિભાગ, જૂનાગઢની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અહેવાલ:- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)