વિમાન દુર્ઘટનામાં વેરાવળના જિમુલિયા દંપતીનું દુઃખદ અવસાન, ત્રિવેણી ખાતે અંતિમ સંસ્કાર.

ગુરુવારના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની બોઇંગ 171 વિમાની દુર્ઘટનામાં વેરાવળના યોગેશ્વર સોસાયટીમાં રહેતા રાજેશભાઈ મથુરાદાસ જિમુલિયા અને ભાવનાબેન રાજેશભાઈ જિમુલિયાનું દુઃખદ અવસાન થયું હતું. ટેકઓફ થયા પછી માત્ર બે મિનિટમાં બપોરે 1:40 વાગે વિમાન મેઘાણીનગર IGP કંપાઉન્ડ પાસે ક્રેશ થયું હતું. વિમાનમાં કુલ 240થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બર સવાર હતા.

આ દુર્ઘટનામાં ગીર સોમનાથ જિલ્લાના કુલ પાંચ મુસાફરોમાંથી બે વેરાવળ તાલુકાના હોવાનું જણાયું છે. દુર્ઘટનાની જાણ થતાની સાથે જ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મૃતકના પરિવારજનોનો સંપર્ક કરી સાંત્વના પાઠવવામાં આવી હતી.

પરિવારને દરેક સહાય મળી રહે તે હેતુથી પ્રાંત અધિકારી, વેરાવળને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સાથે જ એક ડોક્ટર અને નાયબ મામલતદારની ટીમને અમદાવાદ મોકલી મૃતદેહ ઓળખ અને હસ્તાંતરણ પ્રક્રિયામાં મદદ માટે તત્પર રહેવા સૂચના આપવામાં આવી હતી.

૧૭ જૂનના રોજ બંને મૃતકોના DNA મેચ થયા બાદ તેમની બોડીઓ સાંજે પરિવારને સોંપવામાં આવી હતી. વહીવટી તંત્રની મદદથી બંને મૃતદેહો એમ્બ્યુલન્સ મારફતે વેરાવળ લાવવામાં આવ્યા હતા.

આજ રોજ ત્રિવેણી ઘાટ, વેરાવળ ખાતે મૃતકોના પુત્ર તથા મોટી સંખ્યામાં સગાં-સબંધીઓની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

પ્રાંત અધિકારી તથા તેમની ટીમે પણ અંતિમ યાત્રામાં હાજરી આપી અને પરિવારજનોને મળીને આ શોકઘડીમાં સાથ સહકાર અને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા શક્ય તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી.

અહેવાલ: પ્રકાશ કારાણી, (વેરાવળ)