વિરપુર જલારામ ખાતે રવિવારે રાજયભ૨ના રઘુવંશી લોહાણા સમાજનું મહાસંમેલન યોજાશે.

જેતપુર

અખિલ ગુજરાત લોહાણા સમાજના નવા અધ્યક્ષ જામનગરના જીતુભાઈ લાલના પદગ્રહણ સમારોહ પ્રસંગે આ પ્રકારનું સર્વ પ્રથમ આયોજન, રાજયભરના રઘુવંશીઓમાં ભારે ઉત્સાહનું વાતાવરણ.

અખિલ ગુજરાત લોહાણા સમાજનું આગામી ૨૯ સપ્ટેમ્બરના રોજ વીરપુર જલારામ ખાતે એક મહાસંમેલનનું યોજાવા જઈ રહ્યું છે. આ સંમેલનના ક્યાં કારણસર યોજાય રહ્યું છે તે અંગે અખિલ ગુજરાત લોહાણા સમાજના નવનિર્વાચિત પ્રમુખ જીતુભાઇ લાલે આજે વીરપુર લોહાણા મહાજન વાડી ખાતે એક પત્રકાર પરિષદે યોજીને જણાવેલ કે ગુજરાતભરના રઘુવંશી સમાજની સર્વોચ્ચ સંસ્થા એવી અખિલ ગુજરાત લોહાણા સમાજના નવા અધ્યક્ષ તરીકે જામનગરના યુવા અગ્રણી અને સમસ્ત હાલાર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ તા.૨૯-૦૯-૨૦૨૪ ના રોજ બપોરે ૩-૩૦ કલાકે સંસ્થાની સામાન્ય સભામાં અધ્યક્ષ તરીકે હોદાનો અખત્યાર સંભાળશે. આ અવસરને ઐતિહાસીક બનાવવા માટે પૂજ્ય જલારામ બાપાના ધામ એવા વીરપુર ખાતે (હોટલ જયશ્રી પેલેસની બાજુમાં, શુભસંગમ પાર્ટી પ્લોટ) ખાતે રાજયભરના રઘુવંશી સમાજના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

સંત શિરોમણી પ.પૂ.જલારામ બાપાની પાવક કર્મભૂમિ પર આ પ્રકારનું સર્વપ્રથમ આયોજન અખિલ ગુજરાત લોહાણા સમાજના નિવૃત્ત થઈ રહેલા હોદેદારો પ્રમુખ ધનવાનભાઈ કોટક, વરિષ્ઠ ઉપપ્રમુખ પ્રવિણભાઈ ઠકકર, મહામંત્રી મગનભાઈ રૂપારેલ, મંત્રી ભરતભાઈ વસાણી, ખજાનચી શૈલેષભાઈ સોનપાલ, યુવા પાંખના પ્રમુખ જયેશભાઈ સચદે (બાપા દયાળુ), મહિલા પ્રમુખ પ્રભાબેન રાજાએ આ માટે ગુજરાતભરના રઘુવંશીઓને ઉમટી પડવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

વિરપુરમાં આગામી રવિવારે યોજાયેલા આ રઘુવંશી મહાસંમેલનમાં સૌરાષ્ટ્ર-કચ્છ-ઉતર ગુજરાત – દક્ષિણ ગુજરાત – મધ્ય ગુજરાત સહિતના તમામ વિસ્તારોમાંથી હજજારોની સંખ્યામાં લોહાણા જ્ઞાતિજનો ઉમટી પડશે તેવો ઉત્સાહ જોવા મળી રહયો છે. વિરપુરમાં આ સંમેલનમાં તૈયારીઓના ભાગરૂપે આવનારા રઘુવંશીઓના વાહન પાર્કિંગ માટે ગુણાતીત વિદ્યાધામ (વિરપુર) ખાતે તેમજ અલગ અલગ જગ્યાએ પાર્કિંગની અલાયદી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે તેમજ વિરપુર સંમેલન વેળાએ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા તેમજ સ્વચ્છતા જાળવવા અંગેની ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

વિરપુરમાં આગામી રવિવારના બપોરે ૩-૩૦ વાગ્યે અખિલ ગુજરાત લોહાણા સમાજની સામાન્ય સભા થશે જેમાં નવાનિર્વાચિત અધ્યક્ષ તરીકે જીતુભાઈ લાલ પદગ્રહણ કરશે અને એ સાથે જ રઘુવંશી મહાસંમેલનનો મંગલ પ્રારંભ થશે. આ સંમેલન પૂર્ણ થયા પછી એમ.જી.એલ. ફાર્મ હાઉસ, ગુણાતીત વિદ્યાધામ, ગુરૂકુળ સામે (વિરપુર) ખાતે તમામ રઘુવંશીઓ માટે સ્વરૂચી ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ મહાસંમેલનની તડામાર તૈયારીઓ પૂજ્ય જલારામ બાપાના વિરપુર ખાતે હાથ ધરવામાં આવી છે જેમાં વિરપુર લોહાણા મહાજનના હોદેદારો – આગેવાનો તેમજ કાર્યકરોની ટીમ સાથે અખિલ ગુજરાત લોહાણા સમાજના પદાધિકારીઓ, સમસ્ત હાલાર લોહાણા સમાજના હોદેદારો તેમજ જામનગર લોહાણા મહાજનની ટીમ જોડાઈ ગઈ છે. રાજયભરના જુદા જુદા વિસ્તારોમાં સ્થાનિક રધુવંશી સમાજની મીટીંગનો દોર શરૂ થયો છે જેમાં વિરપુર મહાસંમેલનમાં વધુમાં વધુ સંખ્યામાં લોહાણા સમાજના ભાઈ-બહેનો અને યુવાઓ ઉપસ્થિત રહે તે માટે ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.

અહેવાલ:- કરણ સોલંકી (જેતપુર)