જૂનાગઢ,
વિશ્વ પર્યાવરણ દિન ૨૦૨૫ની ઉજવણી આ વર્ષે વૈશ્વિક સ્તરે “પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” થીમ સાથે થઈ રહી છે. ગુજરાતમાં પણ વિવિધ શહેરોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ માટે કાર્યક્રમો યોજાયા છે. જૂનાગઢ જિલ્લામાં રોપવે પરિસરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી દ્વારા વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કલેકટરે જણાવ્યું હતું કે, “આજે વૈશ્વિક સ્તરે આપણે ગ્લોબલ વોર્મિંગ, ઋતુચક્રમાં ફેરફાર, અસમયે વરસાદ અને વાવાઝોડાં જેવી ચિંતાજનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છીએ. જેનો મુખ્ય કારણ પર્યાવરણ પ્રદૂષણ અને તેમાં પણ ખાસ કરીને પ્લાસ્ટિક વપરાશ છે. દર વર્ષે એક વ્યક્તિ સરેરાશ ૨૪ કિલોગ્રામ જેટલું પ્લાસ્ટિક પ્રદૂષણ ફેલાવે છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “ભવનાથ વિસ્તારમાં ગયેલા વર્ષે પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાતા તંદુરસ્ત પરિણામો જોવા મળ્યા છે. રસ્તાઓ સ્વચ્છ બન્યા છે. હવે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નબળો કરતા શણ કે કાપડની થેલી તરફ વળવું જોઈએ.”
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અધિકારીઓ, કર્મચારીઓ તથા નાગરિકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની પ્રતિજ્ઞા લીધી. સાથે સાથે કલેકટરશ્રીના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે શ્રી એસ.બી. પરમારે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમમાં રોપવે મેનેજર કુલબીરસિંહ બેદી, આરએફઓ અરવિંદ ભાલિયા સહિત અનેક અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમ બાદ જટાશંકર ખાતે વિશિષ્ટ સફાઈ અભિયાન હાથ ધરાયું, જેમાં વન વિભાગ, રોપવે અધિકારીઓ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કર્મચારીઓએ જોડાઈ ક્લીનીંગ ડ્રાઇવ ચલાવી હતી. સાથે સાથે શણની થેલીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેથી લોકો પ્લાસ્ટિકના વિકલ્પ તરફ વળે અને સ્વચ્છ પર્યાવરણ તરફ આગળ વધે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ – જૂનાગઢ