વિશ્વ યોગ દિવસ: સુરતીઓએ યોગથી કર્યો દિવસનો આરંભ, અલથાણ ગાર્ડનમાં મોટી સંખ્યામાં મહિલાઓની હાજરી

સુરત શહેરમાં આજે 21 જૂન, વિશ્વ યોગ દિવસની ઉજવણી મોટા ઉત્સાહ સાથે કરવામાં આવી. અલથાણ ગાર્ડન ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લઇ યોગાભ્યાસ કર્યો.

આ કાર્યક્રમમાં ઝુંબા ઈન્સ્ટ્રક્ટર નેહા મોરે દ્વારા યોગાસન તેમજ યોગના લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે યોગ કરવાથી શરીર તેમજ મન બંને તંદુરસ્ત રહે છે, સાથે જ જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ આવે છે.

યોગના મુખ્ય લાભો જે નેહા મોરેએ ઉલ્લેખ કર્યા:

  • તણાવ અને માનસિક દબાણમાંથી મુક્તિ

  • શરીરના અવયવોમાં ગતિશીલતા અને લવચીકતા

  • રોગપ્રતિકારક શક્તિમાં વધારો

  • ઊર્જા અને ઉત્સાહમાં વધારો

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી થઈ હતી, જેમણે 2014માં સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ આપી 21 જૂનના દિવસને “વિશ્વ યોગ દિવસ” તરીકે સ્વીકારાવ્યો હતો. ત્યારથી દુનિયાભરના લોકો આ દિવસને ઉજવે છે.

સુરતના અલથાણ ગાર્ડનથી આજના દિવસની શરૂઆત કરનાર મહિલાઓએ કહ્યું કે આ પ્રકારના કાર્યક્રમો જીવનશૈલીમાં યોગને સ્થાન આપવા પ્રેરણા આપે છે.

અહેવાલ : બ્યુરો રિપોર્ટ