વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી નિમિત્તે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખાસ કાર્યક્રમ યોજાયો, દર્દીઓને કીટનું વિતરણ.

દર વર્ષે 19મી જૂને વિશ્વભરમાં “વિશ્વ સિકલ સેલ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ વિશિષ્ટ દિવસે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સિકલ સેલ અનિમિયા સામે જાગૃતિ લાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જરૂરિયાતની કીટો વિતરણ કરવામાં આવી હતી અને રોગ અંગે અવગાહન વધારવા માટે તેમના પરિવારજનોને માહિતી અપાઈ હતી.

હોસ્પિટલ માટે ગૌરવની વાત એ છે કે તેને ભારત સરકાર દ્વારા “Centre of Competence for Sickle Cell” તરીકે માન્યતા આપવામાં આવી છે. અહીં Molecular Diagnosis Lab પણ કાર્યરત છે, જેના માધ્યમથી ઝડપથી અને ચોકસાઈથી સિકલ સેલ રોગનું નિદાન શક્ય બન્યું છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતમાં સિકલ સેલના દર્દીઓ માટે વિશિષ્ટ અને મફત સારવાર આપતી એકમાત્ર સંસ્થા છે. અહીં દર્દીઓ માટે કાઉન્સેલિંગ, રસીકરણ, નિદાન, મફત દવાઓ, ICU સારવાર, ઓર્થોપેડીક સર્જરી, બ્લડ બેંક જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમજ જટિલ પ્રસૂતિ માટે ખાસ ડિલિવરી સેવા, મફત થાપા પ્રત્યારોપણ, ઓટોમેટેડ બ્લડ એક્સચેન્જ થેરાપી, તાત્કાલિક સારવાર જેવી સેવાઓ પણ કાર્યરત છે.

હાલમાં હોસ્પિટલમાં સિકલ સેલ એનિમિયાના પાંચ દર્દીઓ દાખલ છે, જેમની મુલાકાત તબીબી અધિક્ષક ડો. ધારિત્રી પરમાર, ડો. જિગિષા પાટોડીયા, ડો. કે.એન. ભટ્ટ, ડો. અશ્વિન વસાવા (નોડલ ઓફિસર), RMO ડો. ભરત પટેલ અને વોર્ડ સ્ટાફ સહિત રેસિડન્ટ ડોક્ટરો દ્વારા લેવામાં આવી હતી.

આ કાર્યક્રમ દર્દીઓ અને તેમના પરિવારજનો માટે આશાની નવી કિરણ સમાન સાબિત થયો છે.

અહેવાલ :- સુરજ મિશ્રા (સુરત)