વેરાવળ :
દેશની લોકશાહી પર થયેલ સૌથી અંધકારમય હુમલો એટલે કે કટોકટીની ૫૦મી વાર્ષિકી નિમિત્તે આજે સમગ્ર ગુજરાતમાં ‘સંવિધાન હત્યા દિવસ’ની ગુંજ સંભળાઈ હતી. વેરાવળની મણિબહેન કોટક હાઈસ્કૂલ ખાતે યોજાયેલા વિશિષ્ટ કાર્યક્રમમાં કલેક્ટર એન.વી. ઉપાધ્યાય સહિતના મહાનુભાવો અને અધિકારીઓએ ઉપસ્થિત રહી દેશના બંધારણ અને લોકશાહી પર થયેલા આ ધબ્બાને યાદ કર્યો હતો.
આ અવસરે કટોકટીના સમયની ઝાંખી આપવા માટે ખાસ ભિતીપત્રક પ્રદર્શન, પત્રકારો પરના પ્રતિબંધો, નાગરિક હક ભંગ, ફિલ્મ સેમ્સરો અને બંધારણ વિરુદ્ધના ઘટનાઓના ચિત્રો સાથેના દૃશ્યપટો રજૂ કરાયા હતા. આ ઉપરાંત કટોકટીકાળ દરમિયાન થયેલી ઘટનાઓની તબક્કાવાર વાર્તા પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.
પ્રસંગે કાયદાકીય નિષ્ણાંત તુલસીકુમાર શર્માએ કટોકટીકાળની પીડા, તેનો ઇતિહાસ અને બંધારણનું મહત્વ શાબ્દિક રીતે વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “જેમ ડૉ. આંબેડકરે ભારતનું બંધારણ ઊંડા વિચારો અને લોકશાહી પ્રતિ પ્રતિબદ્ધતાથી ઘડ્યું હતું, તેમ તેનું જ ખોટું અર્થઘટન કરીને તત્કાલીન સરકારે કટોકટી લાદી હતી – જે લોકશાહી અને બંધારણીય મુલ્યો પર સીધો ઘાત હતો.”
કલેક્ટર ઉપાધ્યાય સહિતના મહાનુભાવો અને અધિકારીઓએ કાર્યક્રમ નિહાળતાં “સંવિધાન બચાવ” સંદેશ સાથે સિગ્નેચર કેમ્પેઈનમાં સહભાગી બની લોકશાહીના સંકલ્પને ફરી પોંખ્યો હતો.
આ રાજયકક્ષાના દિવસની ઉજવણી ગાંધીનગરના ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેના જીવંત પ્રસારણને વેરાવળમાં ઉપસ્થિત લોકોએ નિહાળ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, તેમજ અન્ય અધિકારીઓ-પદાધિકારીઓ અને નાગરિકોએ પણ ઉપસ્થિતિ નોંધાવી હતી.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ – સોમનાથ