શિહોર તાલુકાના સણોસરા ગામ ખાતે રણછોડદાસજી આશ્રમ આંખની હોસ્પિટલ દ્વારા મુખ્ય બજારમાં આવેલ બટુક હનુમાનજી મંદિર ખાતે નિઃશુલ્ક નેત્ર અને મોતીયાના મેગા કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પનું આયોજન ગોકુળભાઈ આલના સહયોગથી કરવામાં આવ્યું હતું.
કેમ્પનું ઉદ્ઘાટન લઘુમહંત પ્રવિણબાપુ અને તપસ્વી ઋષિ મહંત શ્રી નિરૂબાપુ (દાનેવ આશ્રમ, સણોસરા) દ્વારા કરાયું હતું. ખાસ બાબત એ રહી કે આ કેમ્પમાં અધતન ફેકો પદ્ધતિ દ્વારા માત્ર પાંચ મિનિટમાં ટાંકા વગરનું ઓપરેશન કરવામાં આવ્યું અને દર્દીઓને વિનામૂલ્યે નેત્રમણિ પણ આપવામાં આવી.
આમ, મોતીયા સહિત અન્ય આંખની તકલીફ જેમ કે પડદાની સમસ્યા કે બાળકોમાં ત્રાસી આંખની બીમારીઓ માટે નિદાન બાદ જરૂર હોય તો મફત ઓપરેશન પણ યોજાયું. નજીકના ગામોના અનેક લોકોએ લાભ લીધો અને ગરીબ-આર્થિક રીતે નબળા વર્ગ માટે આ કેમ્પ આશીર્વાદરૂપ બન્યો.
અહેવાલ : સતાર મેતર, શિહોર