સોમનાથ, તા. 6 ઓગસ્ટ — શ્રાવણ સુદ દ્વાદશી નિમિત્તે આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનો ભવ્ય પવિત્રા શ્રૃંગાર દર્શનાર્થીઓ માટે ખુલ્લો મુકાયો. ભક્તિ, શુદ્ધતા અને વૈષ્ણવ-શૈવ એકતાનો અનોખો સંદેશ આપતો આ પ્રસંગ એક દુર્લભ આધ્યાત્મિક અનુભવ બની રહ્યો.
‘પવિત્રા’ — રેશમી માળા, માત્ર એક દોરો નહીં પરંતુ ભક્તની આત્મિક શુદ્ધતાનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે ભક્તજનો મહાદેવને પવિત્રા અર્પણ કરીને પોતાના શ્રાવણ માસના સાધના સમર્પણને પૂર્ણતા આપે છે.
દ્વાદશી, જે વિષ્ણુપ્રીય તિથિ તરીકે ઓળખાય છે, એ દિવસે ભગવાન શિવને વૈષ્ણવ ભાવથી પૂજવાનો આ પરંપરાગત શ્રૃંગાર શાસ્ત્રોમાં વર્ણવાય છે. સોમનાથ મંદિરમાં આજે વૈદિક મંત્રોચ્ચાર અને ઋચાઓના ગાન વચ્ચે મહાદેવને ચંદન, બિલ્વપત્ર અને રેશમી પવિત્રા માળાથી અલંકૃત કરવામાં આવ્યા.
આ પ્રસંગ ભક્તોને એ સંદેશ આપે છે કે ભક્તિનો માર્ગ ઢોંગ નહીં પરંતુ આંતરિક શુદ્ધતા અને નિષ્કલંક ભાવનાથી પ્રસન્ન થાય છે. જેમ એક સૂક્ષ્મ તાંતણું ભક્તિની દોરી બની ભગવાન સાથે જોડાય છે, તેમ શુદ્ધ મન અને સંકલ્પથી જીવનમાં શિવત્વ પ્રાપ્ત કરી શકાય છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ.