વેરાવળ: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)ના નિયમો અનુસાર શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં Ph.D. સંશોધકો માટે 23 જૂન, 2025ના રોજ યુનિવર્સિટી પરિસરમાં છ-માસિક પ્રગતિ પ્રતિવેદન સમીક્ષા બેઠકનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ખાસ કરીને દર્શન વિષયના Ph.D. સંશોધકો ઉપસ્થિત રહ્યા હતાં. યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રો. સુકાન્ત કુમાર સેનાપતિ અધ્યક્ષસ્થાને રહ્યા હતાં, જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના પૂર્વ અધ્યક્ષ અને પ્રોફેસર રાજેન્દ્ર ચોટલીયા બાહ્ય નિષ્ણાંત તરીકે ઉપસ્થિત રહ્યા હતાં.
બેઠકમાં પ્રભારી શોધનિર્દેશક ડૉ. પંકજકુમાર રાવલ, દર્શન સંકાયના અધ્યક્ષ ડૉ. જાનકીશરણ આચાર્ય, તેમજ દર્શન વિષયના માર્ગદર્શક ડૉ. બી. ઉમા મહેશ્વરી અને છારોડી સ્થિત યુનિવર્સિટી માન્યતા પ્રાપ્ત ‘દર્શનમ્’ સંશોધન કેન્દ્રના ડૉ. લક્ષ્મીનારાયણ ભટ ઉપસ્થિત રહ્યા હતાં.
બેઠકના સંયોજક સંશોધન અધિકારી ડૉ. કાર્તિક પંડ્યા અને સંકલનકર્તા રિસર્ચ એડવાઈઝર ફેસિલીટેટર રાહુલ ત્રિવેદીએ સમગ્ર પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.
આ બેઠકનું મંચ સંચાલન યુનિવર્સિટીના JRF શોધછાત્ર ઋત્વિક જાનીએ કર્યું હતું. બેઠકમાં સંશોધકોના પ્રગતિ આધારિત રિપોર્ટની સમીક્ષા કરવામાં આવી હતી અને તેમનાં સંશોધન કાર્યને વધુ ઉન્નત બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ – સોમનાથ