સગરામપુરામાં દિનદહાડે બિલ્ડરની જાહેરમાં કરપીણ હત્યાથી ચકચાર.

સુરત :

સુરત શહેરમાં ગુનાખોરીએ હદ વટાવી છે. 36 કલાકમાં બીજી હત્યાની ઘટના બની છે. ગત રવિવારે રાત્રે લબરમૂછિયા ટપોરીઓએ યુવકને આંજણા વિસ્તારમાં રહેંસી નાંખ્યો હતો, તે ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં તો આજે દિનદહાડે શહેરના સગરામપુરા વિસ્તારમાં સરાજાહેર બિલ્ડરની હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે.

હુમલાખોરોએ પાછળથી હુમલો કર્યા બાદ ઉપરાછાપરી ઘા મારી જાહેરમાં હત્યા કરી

પ્રાપ્ત માહિતી અનુસાર આજે શહેરના સગરામપુરા વિસ્તારમાં તલાવડી ખાતે દિનદહાડે જાહેરમાં 55 વર્ષીય બિલ્ડર આરીફ કુરેશની હત્યા થઈ છે. હુમલાખોરોએ સળીયાથી મારી આરીફ કુરેશીની કરપીણ હત્યા કરી છે. જૂના ઝઘડાની અદાવતમાં બિલ્ડર આરીફની હત્યા થઈ હોવાની ચર્ચા છે.

હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં દહેશત વ્યાપી ગઈ હતી. મસ્જિદની નજીક જ બિલ્ડરની હત્યા થતા માહોલ તંગ બન્યો હતો. બિલ્ડરના મિત્રો, પરિવારજનોને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. રસ્તા પર લોહીનું ખાબોચિયું ઉભરાયું હતું. કોઈકે બિલ્ડરની લાશને ઢાંકી હતી. પોલીસે પહોંચી લાશનો કબ્જો લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)