
સુરત શહેરના વોર્ડ નં. 30ની સચિન હાઉસિંગ સ્કીમમાં આવેલા ગોકુલ નગર અને શ્રી ભાગ્ય ઉદયનગર સોસાયટી વચ્ચે આવેલા કોમન પ્લોટને લઈને તીવ્ર વિવાદ ઊભો થયો છે. છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલા આ વિવાદમાં 4મી તારીખે ઘટના તીવ્ર બની હતી અને આખરે આ મુદ્દો પોલીસ મથકે પહોંચી ગયો છે.
વિવાદની મૂળભૂત શરૂઆત શ્રી ભાગ્ય ઉદયનગરના પ્લોટ નં. 158માં રહેતા સાહુ પરિવાર દ્વારા પોતાના મકાનની બાજુની ખાલી જગ્યામાં કમ્પાઉન્ડ વાળી બનાવીને ફૂલઝાડ લગાવવાના કૃત્યથી થઈ હતી. એટલું જ નહીં, મકાનની પાછળની બાજુએ તબેલા જેવું બાંધકામ પણ કરવામાં આવ્યું હતું. ગોકુલ નગરના રહીશો, ખાસ કરીને રાજકુમારસિંહ અને તેમના સમર્થકોના દાવા મુજબ, આ જગ્યા વર્ષોથી કોમન પ્લોટ તરીકે જાણીતી છે અને અહીં ઐતિહાસિક રીતે વિવિધ ધાર્મિક તથા સામૂહિક કાર્યક્રમો યોજાતા આવ્યા છે.
રાજકુમારસિંહનું કહેવું છે કે, “આ જગ્યા અમારું સોસાયટીનું કોમન પ્લોટ છે, જે અમે જાળવી અને સફાઈ કરતા આવીએ છીએ. હવે કોઈ ગેરકાયદેસર કબજો કરે તો એ સહન કરાશે નહીં.”
પરિણામે 4 મેના રોજ રાજકુમારસિંહ દ્વારા જી.સી.બી. બોલાવવામાં આવી હતી અને કોમન પ્લોટ પર થયેલું કમ્પાઉન્ડ તોડવામાં આવ્યું. આ દરમિયાન સાહુ પરિવારની ત્રણ મહિલાઓ ઘરમાં હાજર હતી અને બબાલ સર્જાઈ હતી. વાત તીવ્ર બનતા બંને પક્ષો પોલીસ મથકે પહોંચ્યા હતા અને એકબીજા વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે.
હાલમાં પોલીસ દ્વારા બંને પક્ષોની વાંધાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરાઈ છે. સ્થાનિક પ્રશાસન દ્વારા પણ જમીનની માલિકી અને કોમન પ્લોટના દાવાઓ અંગે માહિતી એકત્ર કરવાનો પ્રયત્ન શરૂ થયો છે.