સચીનમાં વધુ એક દુર્ઘટના, તંત્ર જર્જરિત મકાન ખાલી કરાવા ગઈ અને ગેલેરીનો ભાગ તૂટી ગયો બે મહિલા ઈજાગ્રસ્ત.

સુરત:

ગયા અઠવાડિયે સચીનના પાલી ગામમાં 5 માળની બિલ્ડિંગ તુટી પડવાની ઘટનામાં 7 લોકોના મોત બાદ સુરતનું તંત્ર સફાળું જાગ્યું છે. શહેરના જર્જરિત મકાનોને ખાલી કરાવવાની ઝૂંબેશ ઉપાડી છે, તેના ભાગરૂપે આજે મંગળવારે સુરત પાલિકાનું તંત્ર સચીનના કંસાર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાન ખાલી કરાવવા પહોંચી હતી, પરંતુ ત્યાં ફરી એક ઘટના બનતા તંત્ર દોડતું થઈ ગયું હતું.

સુરતના સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામમાં જર્જરિત મકાન તૂટી મકાન તૂટી પડતાં 7 લોકોના મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનાથી સફાળા જાગેલા તંત્ર દ્વારા જર્જરિત મકાન ખાલી કરાવવા કાર્યવાહી શરૂ કરી છે. આજે સચિનના કંસાર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાન ખાલી કરાવતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી. મકાનની ગેલેરીનો ભાગ તૂટી પડતાં મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી.

સુરત મહાનગરપાલિકા અને સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા મોટા પ્રમાણે કાર્યવાહી શરૂ કરાઈ હતી. સચિન કંસાર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ડીજીવીસીએલની ટીમ અને મહાનગરપાલિકાની ટીમ પાવર અને પાણીકાપ કરવા માટે પહોંચી હતી. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આનો વિરોધ કરી રહ્યા હતા. તે સમયે દુર્ઘટના બની હતી. જો કે, પોલીસે તમામને સમજાવીને કામ પાર પાડ્યું હતું.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)