સરથાણામાં પોલીસ લોકદરબારથી દુકાન માલિકને મળ્યો ન્યાય.

સુરત :

સુરતમાં વ્યાજખોરોના દૂષણ સામે સુરત પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ મથક હદ વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. સુરતના સરથાણા ખાતે યોજાયેલા લોક દરબારમાં એક દુકાન માલિકની દુકાનનો કબજો ભાડુઆત સોંપતો ન હતો. જેથી લોક દરબારમાં દુકાન માલિકે રડતા રડતા પોલીસ કમિશનરને રજૂઆત કરતા સરથાણા પોલીસે ત્રણ જ દિવસમાં દુકાનનો કબજો અપાવ્યો હતો.

ત્યારે આવી જ ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં યોજાયેલા લોક દરબારમાં જોવા મળી હતી. લોક દરબારમાં વાલક પાટિયા વિસ્તારમાં રહેતા અશોકભાઈ ભાયાણી અને તેનો પુત્ર બંને ગયા હતા. જેમાં અશોકભાઈ સુરત પોલીસ કમિશનર પાસે આવી અને એકાએક જ રડવા લાગ્યા હતા. પોલીસ કમિશનરે તેમને પૂછતા તેમને પોતાની આપવીતી જણાવી હતી અને કહ્યું હતું કે થોડા મહિનાઓ પહેલા તેમણે પોતાની તમામ પૂંજી એકઠી કરી એક દુકાન લીધી હતી.

દુકાન લીધી ત્યારે એક વ્યક્તિ વજુભાઈ ક્યાડા તેમાં દુકાન ચલાવતો હતો જ્યારે દુકાન લીધી ત્યારે દુકાન ખાલી કરવાનો ત્રણ મહિનાનો વાયદો આપ્યો હતો પરંતુ પાંચ મહિના ઉપર થઈ ગયા છતાં દુકાન ચાલક દુકાન ખાલી કરતો ન હતો.ભાડુઆત દુકાન માલિકને મન ફાવે તેવા જવાબ આપતો હતો. દુકાન માલિક જ્યારે પણ દુકાન અંગેની વાત કરતા ત્યારે ધમકાવતા હતા. મને બીજી દુકાન મળશે તો જ હું આ દુકાન ખાલી કરીશ તેવું કહેવામાં આવતું હતું. આ સાથે જ તમારે થાય તે કરી લેવાનું અને જે પોલીસમાં જાવું હોય ત્યાં જવાનું પણ કહેતા હતા. જેથી દુકાન માલિક ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા હતા એટલું જ નહીં દુકાને ચલાવનાર વ્યક્તિ ભાડું પણ આપતો ન હતો.

ત્રણ દિવસમાં સરથાણા પોલીસે દુકાન પરત માલિકને અપાવી

દુકાન માલિકે સુરત પોલીસ કમિશનરને સમગ્ર વાત જણાવતા અનુપમસિંહ ગેહલોત દ્વારા સરથાણા પોલીસને સમગ્ર મામલો જાણી અને તેનું નિરાકરણ લાવવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. જેથી સરથાણા પોલીસ તાત્કાલિક કામગીરીમાં જોડાઈ ગઈ હતી અને ત્રણ જ દિવસમાં આ વ્યક્તિની દુકાન ખાલી કરાવી તેમનો કબજો પરત આપ્યો હતો. દુકાનનો કબજો દુકાન માલિકને મળી જતા તેમને સુરત પોલીસ કમિશનર અને સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટરનો આભાર માન્યો હતો.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)