સિહોરના રાજપરા ખોડિયાર ડેમના ઓટોમેટિક દરવાજા વેલ્ડિંગથી કાયમી બંધ, ચોમાસા સમયે જળપ્રલયની આશંકા: આમ આદમી પાર્ટીની તંત્રને ચેતવણી

ભાવનગર:
સિહોર તાલુકાના રાજપરા ખોડિયાર ડેમના સ્વયંસંચાલિત દરવાજાઓ મહાનગરપાલિકા વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા વેલ્ડિંગ કરી કાયમી બંધ કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણય હવે સત્તાધીશોને ભારે પડી શકે છે, કારણ કે ડેમના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.

આ મામલે આમ આદમી પાર્ટીના ભાવનગર જિલ્લાના આગેવાન સુરેશભાઈ સાંગાએ તંત્ર સામે આકરા પ્રહારો કર્યા છે અને જણાવ્યું છે કે આ નિર્ણય આખરે પ્રજાની જીવલેણ ભુલ સાબિત થવાની પૂરી શક્યતા છે.

સુરેશભાઈ સાંગાનો આક્ષેપ:

તેમણે જણાવ્યું હતું કે “ભાવનગર મહાનગરપાલિકા વિભાગનો આ નિર્ણય અક્કલશૂન્ય છે. રાજપરા ખોડિયાર ડેમના ઓટોમેટિક દરવાજા કયા કારણોસર વેલ્ડિંગ કરીને બંધ કરવામાં આવ્યા તે એ સમયનું મોટું પ્રશ્નચિન્હ છે.”

તેમણે ચેતવણી આપી હતી કે, “ડેમના દરવાજા કાયમી બંધ કરવાથી ચોમાસા દરમ્યાન રાજપરા ખોડિયાર પ્લોટિંગ વિસ્તાર, રાજપરા, ખાખરીયા, નેસડા, ભોજપરા તથા શામપરા ગામમાં ભારે વરસાદી પાણીના નિકાલમાં મુશ્કેલી સર્જાઈ શકે છે, જેના કારણે ભયંકર જળપ્રલય જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.

તાત્કાલિક કાર્યવાહીની માંગ:

સુરેશભાઈ સાંગાએ સિહોરના પ્રાંત અધિકારી, ભાવનગર જિલ્લા કલેક્ટર તથા મહાનગરપાલિકા કમિશનરને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માંગણી કરી છે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે “ડેમના દરવાજા પૂર્વવત સ્વયંસંચાલિત સ્થિતિમાં લાવવામાં નહીં આવે તો પ્રજાના હિત માટે આમ આદમી પાર્ટી આંદોલન કરશે.

તેમણે વધુમાં ઉમેર્યું કે “ચોમાસું નજીક છે ત્યારે પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવી એ તંત્રની જવાબદારી છે, પરંતુ આવા ગંભીર મામલામાં જો બેદરકારી રાખવામાં આવે તો તેની ગંભીર અસર થઈ શકે છે.

📝 અહેવાલ: સતાર મેતર – ભાવનગર