સુરતના અંબાજી મંદિરને તોડી પાડવા પાલિકાએ નોટિસ ફટકારતા ભક્તો રોષે ભરાયા કલેકટર આપ્યું આવેદનપત્ર .

સુરત

સુરતના નાની વેડના ગામમાં આવેલા જૂના અંબાજી મંદિરના ડિમોલેશન માટે નોટિસ પાઠવવામાં આવી છે. જેનો સ્થાનિક રહીશો-ભક્તો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક રહીશોએ ભેગા થઈ આજે સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો.

વિરોધ પ્રદર્શન કરનારાઓએ મંદિર બચાવો… મંદિર બચાવોના સૂત્રો પોકાર્યા હતા. પ્રદર્શનકારીઓએ કહ્યું કે, સુરત મહાનગર પાલિકા દ્વારા વર્ષો જૂના અંબાજી મંદિરના ડિમોલિશન માટે નોટિસ આપવામાં આવી છે. આ મંદિર 1968માં મંદિર બન્યું છે. તે 50 વર્ષ જુનું છે. લોકો આ મંદિરમાં નિયમિત ભક્તિ કરે છે. આ મંદિરને તોડી પાડવાની નોટિસના લીધે લોકોમાં ભારે રોષ છે. જો મંદિર હટાવવામાં આવશે તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન છેડવાની ચીમકી પ્રદર્શનકારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

સ્થાનિકોએ કહ્યું કે, નાનીવેડ મુકામે આવેલ શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં નિયમીતપણે સવાર – સાંજ એમ બે વખત આરતી કરીને પુજા-અર્ચના કરવામાં આવે છે. હિન્દુ વર્ષમાં આવતા અનેક વાર-તહેવારે પણ વિવિધ પ્રકારની પુજા- અર્ચના થતી હોય છે. અનેક હિન્દુ ધાર્મિક પ્રસંગોની ઉજવણી પણ સદર મંદિર દ્વારા કરવામાં આવતી હોય છે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત )