સુરતના સચિનમાં સ્લમ બોર્ડના જર્જરિત મકાનો ભર ચોમાસે ખાલી કરાયા.

સુરત :

સુરતમાં જર્જરિત મકાનો કોઈનો ભોગ લે તે અગાઉ ઉતારી પાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત 3 દાયકા અગાઉ સચિન વિસ્તારમાં બનેલા સ્લમ બોર્ડના જર્જરિત મકાનોને ખાલી કરાવવામાં આવ્યાં છે. પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે પાણી અને ઈલેક્ટ્રિસિટી કાપી નાખીને મકાનો ખાલી કરાવાતા સ્થાનિકો દ્વારા ભર ચોમાસા બેઘર થયાની લાગણી સાથે વૈકલ્પિક વ્યવસ્થાની માગ કરી રહ્યાં છે.

નિરાધાર બન્યા લોકો

તમામ લોકો પોતાનું ઘર શોધવા માટે નીકળી ગયા છે. લોકોએ સરકાર પાસે રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરી છે. ચોમાસું ચાલી રહ્યું હોવાથી લોકોને હાલ પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવ્યા બાદ અંતે લોકો નિરાધાર થઈ ગયા હોવાની લાગણી અનુભવી રહ્યાં છે.સચિન સ્લમ બોર્ડ ના મકાન ખાલી કરાવવામાં આવ્યા છે. સ્લમ બોર્ડમાં અંદાજીત 2 હજારથી વધુ મકાનો આવેલા છે. જેમાં રહેતા 10 હજાર જેટલા લોકો બેઘર થયા છે. તમામ લોકોને મકાન ખાલી કરવા અપાઈ નોટિસ અપાઈ હતી. ત્યારબાદ ત્રણ દિવસ પહેલા પાણી કનેકશન, ગટર કનેક્શન અને વીજળી કનેક્શન કાપી નખાયું છે. જેથી લાચાર લોકો ઘર ખાલી કરવા મજબૂર બન્યા છે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)