સુરતમાં મુસ્લિમ સમાજે રાજમાર્ગથી નીકળતી ઈદે મિલાદનું જુલુસ રદ કર્યું.

સુરત :

સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગત રવિવારે ગણેશ મંડપ ઉપર બાળકો દ્વારા પથ્થર ફેંકવાની ઘટના બાદ સર્જાયેલી પરિસ્થિતિને પગલે આગામી સોમવારના રોજ ઈદનું જુલુસ અને મંગળવારે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે યોજાયેલી હિન્દુ-મુસ્લિમ આગેવાનોની શાંતિ સમિતિની મિટિંગમાં પોલીસની અપીલને માન આપી મુસ્લિમ સમાજે ભાગળથી નીકળતું ઈદનું જુલુસ રદ કર્યું છે.અગાઉ જુલુસ બદલે સવારે કાઢવાનો નિર્ણય કરાયો હતો.જોકે, જે લોકો પોતાના વિસ્તારમાં જુલુસ કાઢવા માંગતા હોય તે પોતાના વિસ્તાર પૂરતું જુલુસ કાઢી શકશે પણ તે માટે સ્થાનિક પોલીસની પરવાનગી લેવાની રહેશે.

સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગત રવિવારે ગણેશ મંડપ ઉપર બાળકો દ્વારા પથ્થર ફેંકવાની ઘટના બાદ સર્જાયેલી પરિસ્થિતિને પગલે શહેરમાં આગામી સોમવારના રોજ ઈદેમિલાદના તહેવાર અને મંગળવારે ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા જળવાઈ રહે તે માટે હિન્દુ-મુસ્લિમ આગેવાનોની શાંતિ સમિતિની મિટિંગ આજરોજ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતના અધ્યક્ષ સ્થાને અડાજણ એલ.પી,સવાણી રોડ સ્થિત પર્ફોમીગ આર્ટ સેન્ટરમાં યોજાઈ હતી.તેમાં સુરત શહેર પોલીસના અધિકારીઓ તેમજ શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.મિટિંગમાં પોલીસની અપીલને માન આપીને મુસ્લિમ સમાજે આગામી સોમવારે સવારે ભાગળથી નીકળનારું ઈદનું જુલુસ રદ કરવાનો નિર્ણય કર્યો હતો.ઉલ્લેખનીય છે કે સૈયદપુરાના બનાવને પગલે મુસ્લિમ સમાજે સોમવારે વિસર્જનનો આગળનો દિવસ હોય લોકો ગણેશ દર્શને મોટી સંખ્યામાં નીકળતા હોય અને ઘણા સ્થળોએ મહાઆરતીનો કાર્યક્રમ પણ થતો હોય ઘર્ષણ ટાળવા માટે જુલુસ સાંજના સમયને બદલે સવારે 11 વાગ્યે કાઢવાનો નિર્ણય કર્યો હતો.

અહેવાલ :અશ્વિન પાંડે (સુરત)