સુરતમાં ૨૭ જૂને ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા, ભક્તોને જોડાવા અપિલ

 સુરત:
આવતી ૨૭મી જૂન, ૨૦૨૫ના રોજ સુરત શહેરમાં ઇસ્કોન સંસ્થા દ્વારા શ્રી જગન્નાથજી, શ્રી બલદેવજી તથા શ્રી સુભદ્રા માતાની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાનની આ પવિત્ર યાત્રા સર્વે ભક્તજનો માટે આધ્યાત્મિક ઉલ્લાસ અને પરમ શાંતિનો અવસર બની રહેશે.

સુરત રેલવે સ્ટેશનથી રથયાત્રાની ભવ્ય શરૂઆત થશે, જ્યાંથી રથયાત્રા ટેક્ષટાઇલ માર્કેટ, ઉધના દરવાજા, મજુરાગેટ, સરદાર પુલ, અડાજણ રોડ થઈ જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિર ખાતે પૂર્ણ થશે. યાત્રામાં દેશ-વિદેશના હજારો ભક્તો, સંસદસભ્ય, કલેકટર, પોલીસ કમિશ્નર, મેયર સહિત અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

આ રથયાત્રામાં ભગવાન શ્રી જગન્નાથજીની આરતી, કીર્તન-ધૂન, સ્વામી પ્રભુપાદની બગ્ગી, બેન્ડ પાર્ટી, બુંદી-હલવા પ્રસાદ વિતરણ તથા મંદિરમાં પ્રસાદ ભોજનની વિશેષ વ્યવસ્થા કરાઈ છે. ભક્તો માટે આ યાત્રા એક અનન્ય શોભાયાત્રા બની રહેશે.

શાસ્ત્રો મુજબ, ભગવાન જગન્નાથજીના દર્શન કરવાથી અને રથના દોરડા ખેંચવાથી પાપોનો નાશ થાય છે અને ભગવાનની અપરંપાર કૃપા પ્રાપ્ત થાય છે. ત્યારે શહેરના તમામ ભક્તજનોને રથયાત્રામાં જોડાઈ, રથ ખેંચી, ભગવાનના દર્શન અને પ્રસાદ ગ્રહણ કરવા હાર્દિક આમંત્રણ અપાયું છે.

રથયાત્રા રાત્રે આશરે ૧૦ વાગ્યે ઇસ્કોન મંદિરે પૂર્તિ પામશે. સુરતવાસીઓને વધુમાં વધુ સંખ્યામાં પધારી આ યાત્રાને ભવ્ય બનાવવાનું અનુરોધ કરાયો છે.

હરે કૃષ્ણ!

અહેવાલ :- બ્યુરો રિપોર્ટ