સુરત શહેરના અમરોલી – વરિયાવ રોડ પર રાધિકા પોઈન્ટ પાસે વરસાદી પાણીની ખુલ્લી ગટરમાં માતા સાથે પસાર થઈ રહેલ માસુમ બાળક પડી જવાને કારણે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. મહાનગર પાલિકાના વહીવટી તંત્રના પાપે માસુમ બાળકની બીજા દિવસે પણ કોઈપણ પ્રકારની ભાળ મળી નથી. આજે પણ સવારથી ફાયર વિભાગથી માંડીને કતારગામ ઝોનની ટીમો દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન બપોરે એનડીઆરએફની ટીમ પણ ફાયર વિભાગના જવાનો સાથે તપાસમાં જોતરાઈ હતી. અલબત્ત, બીજા દિવસે પણ માસુમ બાળકની ભાળ ન મળતાં લોકોનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકોએ ધરણાં પ્રદર્શન કરીને સુરત મહાનગર પાલિકા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરતાં એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું,
અમરોલી – વરિયાવ રોડ પર બુધવારી બજારમાં માતા વૈશાલીબેન વેગડ સાથે નીકળેલો બે વર્ષીય કેદાર વરસાદી પાણીની ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો. ગત રોજ આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઘટના સ્થળે એકઠું થઈ ગયું હતું. ઘટના અંગે જાણ થતાં ફાયર વિભાગની 8 ટીમના જવાનો દ્વારા ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે, ભારે પ્રયાસો વચ્ચે પણ માસુમ બાળકની કોઈપણ પ્રકારની ભાળ ન મળતાં આજે સતત બીજા દિવસે વહેલી સવારથી ફાયર વિભાગની અલગ અલગ ટીમો દ્વારા બ્રેધિંગ શુટ પહેરીને ગટરમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ સિવાય ડ્રેનેજ અને સ્ટ્રોમ લાઈનમાં ગેરકાયદેસર કનેકશનને કારણે પાણીનો ફોર્સ વધારે હોવાને કારણે મેઈન લાઈનમાં 15 ફુટ સુધી પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે જેને કારણે પણ શોધખોળમાં ભારે વિલંબ થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ : સુરત બ્યૂરો